અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ન્યૂયોર્કમાં બોલાચાલી બાદ એક 27 વર્ષીય ભારતીય નાગરિકની ગોળી મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ અજ્ઞાત હુમલાખોર પોતાની કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચલાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ 27 વર્ષીય ગુરદીપ સિંહ તરીકે થઈ છે, જે ક્વીન્સ વિસ્તારનો રહેવાસી હતો. આ ઘટના શુક્રવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર લગભગ 10 વાગ્યે ઈસ્ટ ન્યૂયોર્ક વિસ્તારના સ્ટેનલી એવન્યુ પાસે બની હતી. કેમેરા અને સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું છે કે રસ્તા પર બે લોકો વચ્ચે કોઈ વાતને લઈને ભારે ચકમક ઝરી હતી. આ બોલાચાલી ઉગ્ર બનતાં જ એક શખ્સે રિવોલ્વર કાઢીને ગુરદીપ સિંહ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી ચલાવી દીધી હતી. છાતીના ભાગે ગોળી વાગવાથી ગુરદીપ સિંહ જમીન પર ઢળી પડ્યો હતો.
બનાવ અંગેની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પેરામેડિક્સની ટીમે ગુરદીપને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ વધુ પડતું લોહી વહી જવાના કારણે તેનો જીવ બચાવી શકાયો નહોતો. પોલીસે શનિવારે સવાર સુધી ઘટનાસ્થળની આસપાસથી પુરાવા એકત્ર કર્યા હતા. જાકે, હજુ સુધી આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ થઈ શકી નથી અને પોલીસ ફરાર શખ્સની શોધખોળ કરી રહી છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ અને શ્રમિકોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ દર્દનાક ઘટના બાદ અમેરિકા સ્થિત નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશન (NAPA) દ્વારા ઊંડા દુઃખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ગુરદીપ સિંહ 10 વર્ષથી પણ વધુ સમય પહેલાં પોતાના સ્વપ્નો પૂરા કરવા માટે અમેરિકા આવ્યો હતો. NAPA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સતનામ સિંહ ચહલે જણાવ્યું હતું કે, આ ઘટનાને કોઈ સામાન્ય કે અલગ કેસ ગણીને હળવાશથી ન લેવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ યુવાન ભારતીય કે સિખ યુવકની આવી રીતે હત્યા થાય છે, ત્યારે આખો પરિવાર બરબાદ થઈ જાય છે. સંગઠને પોલીસ તંત્રને આ હત્યા પાછળનો સાચો હેતુ શોધવા અને દોષિતને સખત સજા અપાવવા અપીલ કરી છે.