દરિયાઈ માર્ગે ભારતમાં નશીલા પદાર્થો ઘુસાડીને દેશના યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાની મનસુબા સામે આપણી તપાસ એજન્સીઓ અને ન્યાયતંત્ર સતત ઢાલ બનીને ઊભું રહ્યું છે. વર્ષ ૨૦૧૯માં ગુજરાતના દરિયાકાંઠેથી પકડાયેલા ચર્ચાસ્પદ પાકિસ્તાની બોટ ડ્રગ્સ કેસમાં અમદાવાદની વિશેષ અદાલતે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો સંભળાવીને સરહદ પારથી આવતા અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
અમદાવાદની એનઆઈએ (NIA) સ્પેશિયલ કોર્ટે વર્ષ ૨૦૧૯ના બહુચર્ચિત પાકિસ્તાની બોટ ડ્રગ્સ કેસમાં પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરનારા ૬ પાકિસ્તાની નાગરિકોને અદાલતે ૮ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ નિયમોના ભંગ બદલ તમામ ૬ આરોપીઓને દોષિત ઠેરવીને જેલ હવાલે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
‘અલ-મદીના’ બોટ મારફતે થયો હતો ઘૂસણખોરીનો પ્રયાસ
વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાની બોટ ‘અલ-મદીના’ મારફતે આ આરોપીઓ ભારતીય દરિયાઈ સરહદમાં નશીલા પદાર્થોનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ અને સુરક્ષા એજન્સીઓએ સમયસર ઓપરેશન પાર પાડીને બોટ સહિત પાકિસ્તાની નાગરિકોને દબોચી લીધા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓ પાસે ભારતમાં પ્રવેશ કરવા માટેના કોઈ વૈધ દસ્તાવેજો કે પાસપોર્ટ-વીઝા નહોતા, જેના કારણે તેમની સામે કડક કાનૂની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.