રાજકોટ સહીત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં બે દિવસથી ધીમીધારે વરસી રહેલા વરસાદથી જનજીવનને કોઈ ખાસ અસર પહોંચી નહતી પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે બેડી વિસ્તાર જર્જરિત મકાન ધરાશાઈ થતા કાટમાળ નીચે દબાયેલા આધેડનું મોત નિપજતા રાજકોટમાં વરસાદી માહોલમાં પ્રથમ મોત નોંધાયું છે. બનાવની મળતી વિગત મુજબ શહેરના બેડીપરા વિસ્તારમાં રામ મંદિર નજીક મોડી રાત્રિના અચાનક મકાનની દીવાલો અને છત ધરાશાયી થતા અવાજ આવતા જ લત્તાવાસીઓ બહાર ઘેડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી ફાયર અને ૧૦૮ને જાણ કરી હતી. અને કાટમાળ નીચે દબાયેલા મકાન માલીક અજયભાઈ કુરજીભાઈ બેલાર (ઉં.વ.૪૫)ના દટાઈ જતા જેસીબીની મદદથી કાટમાળ હટાવી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બચાવ કામગીરી દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ કાટમાળ નીચે ફસાઈ ન હોય તેની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.