વિશ્વભરમાં વધી રહેલી ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનની સ્થિતિના કારણે સમુદ્રની જળસપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર એ એક ચેતવણીરૂપ રિપોર્ટ જાહેર કર્યો છે. યુએનના રિપોર્ટ અનુસાર, ભારતના બે મુખ્ય મહાનગરો મુંબઈ અને કોલકાતા સહિત દક્ષિણ એશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રનું સ્તર વધવાથી લાખો લોકોના ઘરો પર અસ્તિત્વનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ સેક્રેટરી જનરલ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે દક્ષિણ એશિયાના નીચાણવાળા ડેલ્ટા વિસ્તારોમાં રહેતા ૧.૪ કરોડથી વધુ લોકો સમુદ્રના પાણીમાં પોતાના ઘરો કાયમી ધોરણે ગરકાવ થવાના કારણે વિસ્થાપિત થવાના આરે છે. ભારતનું મુંબઈ અને કોલકાતા તેમજ બાંગ્લાદેશનું ઢાકા આ સંકટથી સૌથી વધુ પ્રભાવિત થનારા શહેરોમાં સામેલ છે. રિપોર્ટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે સમુદ્રના સ્તરમાં થતો આ વધારો હવે ભવિષ્યનો ખતરો નથી રહ્યો, પરંતુ વર્તમાન સમયમાં જ અત્યંત ઝડપથી થઈ રહ્યો છે.
વિશ્વના 77 કરોડ લોકો પર અસ્તિત્વનું જોખમ
ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે અને મહાસાગરોનું તાપમાન વધી રહ્યું છે, જેને કારણે સમુદ્રના પાણીનો ફેલાવો થઈ રહ્યો છે. આંકડા દર્શાવે છે કે ૨૦૧૪ થી ૨૦૨૩ ની વચ્ચે વૈશ્વિક સ્તરે દર વર્ષે સરેરાશ ૪.૭ મિલીમીટરના દરે દરિયાઈ સપાટી વધી હતી. જ્યારે એકલા ૨૦૨૪ ના વર્ષમાં સમુદ્રનું સ્તર ૫.૯ મિલીમીટર વધ્યું હતું, જે અત્યાર સુધીનો સૌથી નવો અને ચિંતાજનક રેકોર્ડ છે. વિશ્વની લગભગ ૧૦ ટકા વસ્તી (આશરે ૭૭ કરોડ લોકો) એવા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહે છે જે હાઇ ટાઇડ લાઇનથી ૫ મીટર કરતાં પણ ઓછી ઊંચાઈ પર આવેલા છે.
માળખાકીય સુવિધાઓ અને જનસ્વાસ્થ્ય પર માઠી અસર
યુએને સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ સ્તરમાં વધારો માત્ર રહેણાંક વિસ્તારો પૂરતો સીમિત નથી, પરંતુ તે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણીની સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ નેટવર્ક, એનર્જી ગ્રીડ અને ભૂગર્ભ જળ સંસાધનોને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે.આ સિવાય, દરિયાના ખારા પાણી જમીન અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ભળવાથી ખેતી તેમજ પીવાના પાણીની સુરક્ષા જોખમાશે. સાથે જ, પાણીજન્ય રોગો, માનસિક તણાવ અને વિસ્થાપન જેવા ગંભીર સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. નિષ્કર્ષ સંયુક્ત રાષ્ટ્રે વિશ્વભરના દેશો અને સરકારોને આ અપીલ કરી છે કે તેઓ દરિયાઈ સ્તરના વધારાને એક "સિસ્ટમિક ખતરા" તરીકે લે અને પોતાની વિકાસ યોજનાઓમાં તેને અગ્રતા આપીને તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો શોધે.