BREAKING NEWS

જામનગર પોલીસ દ્વારા લોકમેળામાં ડ્રોનથી રખાશે બાજ નજર

  • September 02, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પોલીસ દ્વારા લોકમેળામાં ડ્રોનથી રખાશે બાજ નજર

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : મેદાનમાં ચોતરફ ૪૫થી વધુ સીસી કેમેરા : રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી 

જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા પરંપરાગત શ્રાવણી લોકમેળામાં તહેવારો દરમિયાન હજારોની સંખ્યામાં નગરજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડવાની સંભાવનાને પગલે જામનગર પોલીસ દ્વારા સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અનિચ્છનીય બનાવો અટકાવવા માટે સમગ્ર મેળા પરિસરને પોલીસના સુરક્ષા ચક્ર હેઠળ આવરી લેવામાં આવ્યું છે.

મેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સમગ્ર મેળા ગ્રાઉન્ડમાં ૪૫ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારો, રાઈડ્સ વિસ્તાર તેમજ ભીડભાડવાળા મહત્વના પોઈન્ટ પર તેમજ મેળા મેદાન ની વચ્ચે ગોઠવવામાં આવેલી સ્ટ્રિટ લાઈટના પોલ ઉપર કેમેરા ગોઠવવામાં આવ્યા છે.

આ ઉપરાંત આકાશમાંથી સમગ્ર મેળા પરિસર પર બાજ નજર રાખવા માટે હાઈટેક નાઈટવીઝન કેમેરા સાથેના ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રોન મારફતે મેળાના ખૂણે-ખૂણાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને કંટ્રોલ રૂમમાંથી સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવામાં આવશે.

જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની તેમજ સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ મેળા દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં સિટી એ ડિવિઝનના પીઆઈ વિપૂલસિંહ ડોડીયા અને તેઓની સમગ્ર પોલીસ ટીમ દ્વારા મેળા દરમિયાન સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

 મેળાની મધ્યમાં હંગામી પોલીસ  સ્ટેશન ઉભું કરાયું છે, અને ત્યાંથી સીસીટીવી કેમેરા નું મોનીટરીંગ કરાવીને બારીકાઈથી નિરીક્ષણ કરાય રહ્યું છે. જ્યારે ડ્રોન કેમેરા નો પણ ઉપયોગ કરીને મેળા મેદાન તેમજ બહારના મુખ્ય રોડ પર સાત રસ્તા થી જિલ્લા પંચાયત સર્કલ સુધીના માર્ગ પર નજર રાખી શકાય તે પ્રકારનું આ વખતે સૌપ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

મેળા બંદોબસ્ત માં સિટી બી ડિવિઝનના પીઆઈ ચૌહાણ, ટ્રાફિક પીઆઈ એસ.વી. ચૌધરી, ૭ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને મુલાકાતીઓ સરળતાથી મેળાની મજા માણી શકે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વાહન પાર્કિંગ તેમજ વાહન વ્યવહારનું સુચારુ સંચાલન થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુમ થનાર બાળકોને ઝડપથી શોધવા માટે વિશેષ બેલ્ટનું આયોજન:
જામનગરના શ્રાવણી લોક મેળા ના મુલાકાતઓના નાના બાળકો તેમના વાલીઓથી વિખુટા પડી જાય તો શોધી આપવાના ભાગરૂપે સીટી એ. ડિવિઝનના પી.આઈ. વિપુલસિંહ ડોડીયા અને તેઓની ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા તથા અન્ય સેવાકીય સંસ્થાના સહયોગથી વિશેષ પ્રકારના હંગામી બેલ્ટ કે જે બાળકોના હાથમાં બાંધી શકાય અને તેઓના પરિવારના વાલીના મોબાઈલ નંબર લખીને બાળકોને શોધવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રવેશતી વખતે મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ સાથે આવનારા બાળકોના હાથમાં બેલ્ટ બાંધી દેવાય અને તેમાં તેના પરિવારનો મોબાઇલ નંબર લખાઈ જાય તો બાળક ગુમ થાય તો તે નંબરના આધારે તુરત જ શોધી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application