BREAKING NEWS

ચાર મહિનામાં મુઝફ્ફરનગરના જજે 22 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી

  • August 17, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુઝફ્ફરનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રવિ કુમાર દિવાકરના ફાંસીની સજાના ચુકાદાઓને લઈને ચર્ચા તેજ બની છે. 2022માં વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના વીડિયોગ્રાફિક સર્વેનો આદેશ આપ્યા બાદ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલા જજ દિવાકરે મુઝફ્ફરનગરમાં કાર્યભાર સંભાળ્યા બાદ 10 અલગ-અલગ કેસમાં કુલ 22 દોષિતોને મૃત્યુદંડની સજા ફટકારી છે. બરેલીમાં તેમની અગાઉની પોસ્ટિંગ દરમિયાન આપવામાં આવેલી 13 ફાંસીની સજાઓ સાથે અત્યાર સુધીમાં તેમના દ્વારા મૃત્યુદંડ મેળવનારા દોષિતોની સંખ્યા 35 થઈ છે.મુઝફ્ફરનગરમાં પ્રથમ મૃત્યુદંડની સજા 6 એપ્રિલે આપવામાં આવી હતી. વકીલ સમીર સૈફીની હત્યાના કેસમાં ત્રણ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 28 એપ્રિલે એક મહિલાની હત્યાના કેસમાં તેના ત્રણ પુત્રો સહિત પરિવારના ચાર સભ્યોને મૃત્યુદંડની સજા આપવામાં આવી. 30 મેના રોજ એક, 20 જૂને બે અને જુલાઈમાં કુલ સાત દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ઓગસ્ટમાં પણ 12 અને 13 ઓગસ્ટે મળીને પાંચ દોષિતોને મૃત્યુદંડની સજા આપવામાં આવી.આ કેસોમાં 2020માં ફરજ પર રહેલા હોમગાર્ડની હત્યા અને 2011ના હાઈવે લૂંટ-હત્યા કેસનો પણ સમાવેશ થાય છે. બરેલીમાં જજ દિવાકરના કાર્યકાળ દરમિયાન 2014ના ત્રિપલ મર્ડર અને ડકૈતી કેસમાં ચૈમાર હસન ગેંગના આઠ સભ્યોને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.આ ચુકાદાઓને લઈને ‘રેરસ્ટ ઓફ ધ રેર’ સિદ્ધાંતના ઉપયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે. એક વકીલે કહ્યું કે મૃત્યુદંડ જેવી સજા આપતા પહેલાં ખૂબ જ ગંભીર વિચારણા જરૂરી છે. બીજી તરફ મુઝફ્ફરનગરના જેલ અધિકાર કાર્યકર નાદિર રાણાના જણાવ્યા મુજબ, આ ચુકાદાઓથી પીડિત પરિવારોમાં ન્યાયની લાગણી અને ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત થયો છે.બીએનએસની કલમ 407(1) મુજબ, સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી દરેક મૃત્યુદંડની સજા હાઈકોર્ટની પુષ્ટિ માટે મોકલવી જરૂરી છે. હાઈકોર્ટની મંજૂરી વિના સજા અમલમાં મૂકી શકાતી નથી.જજ દિવાકર અગાઉ વારાણસી, બરેલી અને ચિત્રકૂટ સહિત અનેક સ્થળોએ ફરજ બજાવી ચૂક્યા છે. જ્ઞાનવાપી કેસ બાદ તેમને ધમકીભર્યો પત્ર મળ્યો હોવાનો પણ અહેવાલ છે. 2024માં બરેલીમાં એક કેસના આદેશમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંગે કરેલી ટિપ્પણીઓ બાદ પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. બાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ ટિપ્પણીઓને રાજકીય રંગ ધરાવતી અને અનાવશ્યક ગણાવીને હટાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application