જસદણ વિછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપતભાઈ કેરાળીયાએ વન અને પર્યાવરણ મંત્રી, મુખ્યમંત્રી સહિતનાને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ વિંછીયા તાલુકાના ઘેલા સોમનાથ ખાતે સામાજિક વનીકરણ રેન્જ, વિંછીયા દ્વારા જાહેર નાણાંમાંથી લાખો રૂપિયાના ખર્ચે “વન કવચ”નું નિર્માણ કરવામાં આવેલ છે.આ સ્થળનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા તેમજ ઘેલા સોમનાથ ખાતે આવતા યાત્રાળુઓ અને સામાન્ય લોકોને તેનો લાભ મળે તેવા હેતુથી બનાવમાં આવેલ છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઘેલા સોમનાથ મહાદેવના દર્શન માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આવા સમયે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ વન કવચને લોક મારીને બંધ રાખવામાં આવે છે, જે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.તારીખ 16-08-2026, રવિવારના રોજ પણ સ્થળ પર વન કવચને લોક મારીને બંધ રાખવામાં આવેલ હતું. તેના ફોટોગ્રાફ્સ પુરાવા તરીકે સામેલ કરવામાં આવેલ છે. લાખો રૂપિયાના જાહેર નાણાંના ખર્ચે બનાવવામાં આવેલ વન કવચને બંધ રાખવાનું ચોક્કસ કારણ શું છે? જો સામાન્ય જનતા અને યાત્રાળુઓ તેનો ઉપયોગ કરી શકતા ન હોય તો આટલો મોટો ખર્ચ કરવાનો હેતુ શું? વન કવચ કયા હેતુ માટે બનાવવામાં આવ્યું છે અને તેના ઉપયોગ માટે કોઈ નિયમો નક્કી કરવામાં આવ્યા છે કે કેમ? તેને વારંવાર લોક મારીને બંધ રાખવાનો આદેશ કયા અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે? જાહેર નાણાંમાંથી થયેલા આ ખર્ચનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.