જન્માષ્ટ્રમીના મેળા પૂર્વે હરિહર ચોકના વોંકળાનું કામ પૂર્ણ નહીં થાય તો ધરણા
જન્માષ્ટ્રમીના મેળા પૂર્વે હરિહર ચોકના વોંકળાનું કામ પૂર્ણ નહીં થાય તો ધરણા
August 04, 2026 11:48 AM
રાજકોટ શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર સદર બજારના હરિહર ચોકના વોકળા ઉપર આવેલ રાજાશાહી વખતના પુલની નવીનકરણની ગોકળગાય ગતીએ ચાલતી કામગીરીના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. જો જન્માષ્ટ્રમીના લોકમેળા પૂર્વે વોંકળાનું કામ પૂર્ણ નહીં થાય તો મહાપાલિકા કચેરીમાં ધરણા ધરવાની કોંગી નેતા અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે. આ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત પત્ર પાઠવી રજૂઆત કરી છે. રાજકોટ શહેરનો સદરનો વોંકળો જૂનો અને શહેરની મધ્યમાંથી પસાર થઇ આજી નદીમાં મળે છે નાની નદી જેટલી જ પહોળાઈ અને લંબાઈ ધરાવતો આ વોંકળો ડ્રાય ( માત્ર વરસાદી પાણીના નિકાલ માટે જ ઉપયોગ લેવાનો) છે જે નેચરલ વોટર વે તરીકે જ ઉપયોગમા લેવાનો હોવા છતા ગેકાયદેસર ભૂગર્ભ કનેકશનોના કારણે બારે માસ ગટરના ગંધાતા પાણીથી ઉભરાતો રહે છે. મ્યુનિ.કમિશનરને પાઠવેલા પત્રમાં કોંગી નેતાઓએ જણાવ્યું છે કે, એક વર્ષથી ઉપરનો સમય વીતવા છતા અતિ ભીડ ભાડ વાળા આ રસ્તાને બધં કરી દેવામા આવ્યો છે જેના કારણે સદર બજાર, પરા બજાર, મોચી બજાર, રૈયા નાકા ટાવર તેમજ સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, ચૌધરી હાઈસ્કુલ અને મીનાબેન કુંડલીયા મહિલા કોલેજ તરફ જતા સૌને મુશ્કેલી વેઠવી પડે છે. હવે નજીકના દિવસોમા જન્માષ્ટ્રમીના તહેવારો અને લોકમેળો પણ આવી રહ્યો છે ત્યારે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાશે તેથી તહેવારો પહેલા ઝડપી કામગીરી પૂર્ણ કરાવે તેવી કોંગ્રેસની માંગણી છે અન્યથા ધરણા કરવામાં આવશે