ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પરમ પવિત્ર શ્રાવણ માસના તહેવારો નિમિતે યાત્રિકોના ધસારાને પહોંચી વળવા રાજકોટ એસટી બસ પોર્ટ સહિત ડિવિઝનના તમામ નવ ડેપો ખાતેથી કુલ ૫૯ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, તા.૨૬થી ૩૦ ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન પર્વ નિમિતે રાજકોટ એસટી બસપોર્ટ ખાતેથી ૧૦, ગોંડલ ડેપોથી ૧૦, જસદણ ડેપોથી ૧૦, વાંકાનેર ડેપોથી ૦૫, ચોટીલાથી ૦૫, મોરબીથી ૦૫, ધ્રાંગધ્રાથી ૦૫, સુરેન્દ્રનગરથી ૦૯ અને લીંબડીથી ૦૫ મળી કુલ ૫૯ બસ દોડાવાશે. તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ઉપરાંત જન્માષ્ટમીના તહેવારો નિમિતે તા.૨ સપ્ટેમ્બરથી તા.૬ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ બસપોર્ટ ખાતેથી ૧૦, લીંબડી ડેપોથી બે, ધ્રાંગધ્રા ડેપોથી બે, જસદણ ડેપોથી બે અને ચોટીલા ડેપોથી એક મળી કુલ ૧૭ એક્સ્ટ્રા બસ દોડાવાશે. આ મુજબ રક્ષાબંધન અને જન્માષ્ટમી તેમ બન્ને પર્વ મળીને ૭૬ એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનું આયોજન છે. મુસાફરોની ભીડ વધુ હોય તો જેટલી જરૂરિયાત જણાય તેટલી એક્સ્ટ્રા બસો દોડાવવા ડેપો મેનેજરોને સૂચના અપાઇ છે. એક્સ્ટ્રા બસોમાં નિયમ મુજબ ૨૫ ટકા એક્સ્ટ્રા ભાડું વસૂલાશે. વિભાગીય નિયામક દ્વારા મુસાફર જનતાને એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.