જ્યારે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે અને પળભરમાં બધું જ તહેસ-નહેસ કરી નાખે છે, ત્યારે સરકારી સહાય અને વહીવટી પ્રક્રિયાઓ તેના સમયે થતી રહે છે. પરંતુ, મુશ્કેલીના એ જ સમયે જ્યારે કોઈ સંવેદનશીલ હૃદય પીડિતોના આંસુ લૂછવા માટે તાત્કાલિક આગળ આવે છે, ત્યારે સમાજમાં માનવતાનો દીવો વધુ પ્રજ્વલિત બને છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદે મચાવેલી તારાજી વચ્ચે જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ ફરી એકવાર પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે.
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ભયાનક પરિસ્થિતિ અને જાનહાનિના અહેવાલોથી ભાવનગરના તલગાજરડા સ્થિત અગ્રણી કથાકાર પૂજ્ય મોરારીબાપુનું હૃદય દ્રવી ઊઠ્યું છે. આ આકાશી આફતમાં જીવ ગુમાવનારા કમનસીબ ૧૩ વ્યક્તિઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને બાપુએ તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે.
દરેક પીડિત પરિવારને પહોંચશે આશ્વાસન રૂપી મદદ
પૂજ્ય બાપુના આદેશ અનુસાર મુશ્કેલીની આ ઘડીમાં આ પરિવારોને એક નાનો આર્થિક ટેકો મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકના આશ્રિત પરિવારને ૧૫,૦૦૦ રૂપિયા લેખે સહાય આપવામાં આવશે. અત્યાર સુધી સત્તાવાર રીતે સામે આવેલા તમામ ૧૩ મૃતકોના પરિવારો માટે કુલ ૧.૯૫ લાખ રૂપિયાની આર્થિક મદદ પૂજ્ય બાપુના ‘હનુમંત આહુતિ’ ફંડમાંથી સીધી તેમના સુધી પહોંચાડવામાં આવશે.