રાજકોટ જિલ્લા પોલીસ તંત્રમાં વહીવટી પારદર્શિતા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત કરવાના હેતુથી એક મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જર દ્વારા આજે એક સપાટે ૨૧૬ પોલીસ કર્મચારીઓની સામૂહિક આંતરિક બદલીઓના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ બેડામાં એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, આ બદલીઓમાં મુખ્યત્વે એવા પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે, જેઓ એક જ પોલીસ સ્ટેશન કે સ્થળે છેલ્લા ૩ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહ્યા હતા. લાંબા સમયથી એક જ જગ્યાએ પગભેર થયેલા મોટાભાગના તમામ પોલીસ કર્મીઓની અન્ય મથકો પર બદલી કરી દેવામાં આવી છે.

ચૂંટણી પંચ અને વહીવટી નિયમોને આધીન કરાયેલી આ બદલીઓમાં ખાસ બાબત એ છે કે, તમામ બદલી પામેલા પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની જૂની ફરજ પરથી છૂટા થવા આદેશ કરાયો છે. એસપી દ્વારા કડક ફરમાન જાહેર કરીને તમામ બદલી થયેલા કર્મચારીઓને કોઈપણ પ્રકારના વિલંબ વિના તાત્કાલિક નવા નિયુક્ત સ્થળે હાજર થઈ રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે.




