માણાવદરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલા પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન ટપકેશ્વર મહાદેવ મંદિરે એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ટપકેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર અચાનક એક સાપ આવી ચડ્યો હતો. શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે શિવલિંગ પર સાપના દર્શન થવાની આ વાત વાયુવેગે પ્રસરતા આસપાસના અસંખ્ય ભાવિક ભક્તો દર્શન માટે ટપકેશ્વર મહાદેવ મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોમાં આ ઘટનાને લઈને ભારે કુતૂહલ અને આસ્થા જોવા મળી હતી. મંદિરે એકત્રિત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા શિવલિંગ પર બિરાજેલા સાપને દૂધ પીવડાવવામાં આવ્યું હોવાનું પણ નજરે પડ્યું હતું. ભક્તોએ તેને ભગવાન ભોલેનાથના પ્રત્યક્ષ દર્શન માનીને ધન્યતા અનુભવી હતી. ઘટનાની ગંભીરતા અને વન્યજીવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સાપને કોઈ ઈજા ન પહોંચે તે માટે તાત્કાલિક ધોરણે તેના સુરક્ષિત રેસ્ક્યુની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા સાપનું સફળ અને સુરક્ષિત રેસ્ક્યુ કરી તેને કુદરતી વાતાવરણમાં એટલે કે જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો છે.