રેલવે સ્ટેશન ખાતે આખરે રાજવી કાળની ઐતિહાસિક તકતી ફરી સન્માનપૂર્વક લગાવવામાં આવી
રેલવે સ્ટેશન ખાતે આખરે રાજવી કાળની ઐતિહાસિક તકતી ફરી સન્માનપૂર્વક લગાવવામાં આવી
August 29, 2026 09:36 AM
ગોંડલનાં રાજવી મહારાજા સર ભગવતસિહ નાં સંભારણા રુપ રાજવી સમય નાં રેલવે સ્ટેશનના નવનિર્માણ અને રિનોવેશનની કામગીરી પુર્ણ થઈ છે. આ કામગીરી દરમિયાન થોડા સમય અગાઉ સ્ટેશન પર મૂકવામાં આવેલી શિલાલેખ સમાન આરસની ઐતિહાસિક તકતીઓ દૂર કરવામાં આવતા અને નુકશાન થતા ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને પગલે ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તકતી તેના મૂળ સ્થાને સન્માનપૂર્વક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. લોકોની લાગણી અને માંગને ધ્યાનમાં રાખીને અંતે રેલવે તંત્ર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ગોંડલ રેલવે સ્ટેશન ખાતે રિનોવેશન દરમિયાન કાઢી નાખવામાં આવેલી આ ઐતિહાસિક તકતીને ફરીથી યોગ્ય સ્થાને પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે.આ તકતી ફરી લગાવવાની કામગીરી વખતે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ સહિતના રેલવેના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ જેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તે રાજપૂત યુવક મંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલના શાનદાર રેલવે સ્ટેશનની ધરોહર સમાન આ ઐતિહાસિક તકતી ફરી લાગતા વારસા પ્રેમીઓ અને નગરજનોમાં ખુશી જોવા મળી છે.