સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાંથી આઠ વર્ષ પહેલાં મળી આવેલા એક અજાણ્યા બાળકના ધડ વગરના માથાના ચકચારી કેસમાં આખરે પોલીસને બહુ મોટી સફળતા મળી છે. વર્ષ ૨૦૧૮માં સર્જાયેલા આ લોહિયાળ રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાયો છે. પશ્ચિમ બંગાળથી કમાણી કરવાના બહાને રાજકોટ લાવવામાં આવેલા એક ૧૪ વર્ષના માસૂમ બાળક પાસે બાળ મજૂરી કરાવ્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ પોલીસે અત્યંત આધુનિક ડીએનએ (DNA) ટેકનોલોજી અને સ્કેચ મેચિંગ પદ્ધતિના આધારે મૃતક બાળકની સત્તાવાર ઓળખ કરી લીધી છે. આ ઘાતકી ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર અને નરાધમ આરોપી અજિતમૌલા અઝમતમૌલાની રાજકોટ જેલમાંથી કસ્ટડી (કબ્જો) મેળવીને હત્યાના ગુના હેઠળ વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા ઓરાપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૮ની એ લોહિયાળ ઘટના અને ૨૦૨૫ની રેડ
આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૧૮માં રાજકોટના રૂખડીયાપરા વિસ્તાર નજીકથી પસાર થતી આજીનદીના પટ્ટમાંથી ધડ વગરનું, માત્ર તીક્ષ્ણ હથિયારથી કાપેલું માથું મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. તે સમયે પોલીસે બાળકની ઓળખ કરવા આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ કોઈ કલૂ ન મળતાં આ ગુનો આઠ વર્ષ સુધી વણઉકેલાયેલો રહ્યો હતો. દરમિયાન, વર્ષ ૨૦૨૫માં રાજકોટ એસઓજી (SOG) પોલીસે સોની બજારમાં બાળ મજૂરીના દૂષણને નાબૂદ કરવા એક મેગા રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસને આરોપી અજિતમૌલા અઝમતમૌલાના ગેરકાયદે આશ્રય સ્થાનેથી પશ્ચિમ બંગાળના આશરે ૨૦ જેટલા બંધક બાળ મજૂરો મળી આવ્યા હતા, જેમને મુક્ત કરાવાયા હતા. પોલીસે જ્યારે આ તમામ મુક્ત કરાયેલા બાળકોને પશ્ચિમ બંગાળમાં તેમના પરિવારોને સુપ્રત કર્યા, ત્યારે એક કમનસીબ પરિવારે તેમનું એક બાળક વર્ષોથી ગુમ હોવાની સત્તાવાર જાણ પોલીસને કરી હતી. આ કડી મળતા જ પોલીસે જેલમાં બંધ અજિતમૌલાની આકરી પૂછપરછ શરૂ કરી હતી.
ખોળામાં સ્કેચ અને DNA ટેસ્ટથી ઉકેલાયો ભેદ
રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) ચૈતન્ય માંડલીકે આ સફળ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાન્ચે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ગુમ થયેલા અંદાજિત ૩૫ જેટલા બાળકોની પ્રોફાઇલ ચેક કરી હતી. ત્યારબાદ ૨૦૧૮માં નદીમાંથી મળેલા માથાના અવશેષોના આધારે એક વૈજ્ઞાનિક સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સ્કેચ પશ્ચિમ બંગાળના પરિવારના ગુમ થયેલા બાળકના અસલી ફોટા સાથે અદ્ભુત રીતે મેચ થતો હતો. શંકા દ્રઢ બનતા જ, ૨૦૧૮માં સાચવી રાખવામાં આવેલા મૃતકના ડીએનએ (DNA) સેમ્પલ અને પશ્ચિમ બંગાળના પીડિત પરિવારના સેમ્પલ મેળવી એફએસએલ (FSL)માં મોકલાયા હતા. અંદાજિત છ મહિનાની જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા બાદ આ ડીએનએ રિપોર્ટ પોઝિટિવ (મેચ) આવતા આખરે આઠ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો સુખદ અંત આવ્યો હતો.
શા માટે કરાઈ માસૂમની હત્યા?
પોલીસ તપાસમાં હત્યારા અજિતમૌલાએ પોતે આચરેલા પાપની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી નાના બાળકોને ફોસલાવીને રાજકોટની સોની બજારમાં સોના-ચાંદીના દાગીના ઘડવાની જોખમી મજૂરીમાં ધકેલતો હતો. આ ૧૪ વર્ષનો મૃતક બાળક પણ તેની પાસે મજૂરી કરતો હતો. પરંતુ થોડા સમય બાદ બાળકને વતનની યાદ આવતા તેણે પોતાના ઘરે પરત જવાની જીદ પકડી હતી અને પોતાના હકના બાકી રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા અજિતમૌલાએ માસૂમને ઢોર માર માર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. પાપ છુપાવવા માટે નરાધમે માસૂમનું ધડ અને માથું તીક્ષ્ણ હથિયારથી અલગ કરી દીધા હતા, જેથી જો લાશ મળે તો પણ તેની ઓળખ ક્યારેય ન થઈ શકે અને પોતે કાયદાના સકંજામાંથી બચી જાય.
પોલીસની આગળની કાર્યવાહી
હાલમાં ચિલોડા કે અન્ય વિસ્તારના ગુનાઓની જેમ જ રાજકોટ પોલીસે આ કેસમાં પણ કાયદાનું કડક વલણ અપનાવ્યું છે. જેલમાં બંધ આરોપી અજિતમૌલાની કસ્ટડી મેળવીને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે હવે એ દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે કે હત્યા માટે કયા હથિયારનો ઉપયોગ કરાયો હતો અને બાળકનું ધડ કઈ જગ્યાએ છુપાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, આરોપી ભૂતકાળમાં આવા કેટલા માસૂમ બાળકોને તસ્કરી કરીને રાજકોટ લાવ્યો હતો અને તેમાંથી કેટલા બાળકો હાલ સુરક્ષિત છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. માસૂમ બાળકના પરિવારને ૮ વર્ષે ન્યાય મળતા તેમણે રાજકોટ પોલીસનો આભાર માન્યો છે.