BREAKING NEWS

ઘરે પહોંચે એ પહેલી જ કાળ ભેટ્યો, ઉમરગામમાં કાર ઝાડ સાથે અથડાતા ત્રણ મિત્રોના મોત, બેની હાલત ગંભીર

  • September 18, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં ગત મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાપીથી પોતાનું કામ પતાવીને પરત ઉમરગામ તરફ પૂરઝડપે જતી કાર અચાનક ચાલકના કાબૂ બહાર થઈ ગઈ હતી અને રોડની બાજુમાં આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર પાંચ યુવાનો પૈકી ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરગામના સુંદરવન વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ૨૬ વર્ષીય અર્જુન ત્રિયોગીનાથ શાહ, ૩૦ વર્ષીય નરેન્દ્ર રઘુવીરસિંહ રાઠોડ, ૨૭ વર્ષીય બાલારામ ઉર્ફે કિશન ભવરલાલ મેઘવાલ તેમજ તેમના અન્ય બે મિત્રો કોઈ કામસર ગુરુવારે કાર લઈને વાપી ગયા હતા. મોડી રાત્રે પાંચેય મિત્રો કામકાજ પતાવીને કારમાં સવાર થઈને ઉમરગામ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.


પાંચેય મિત્રો જ્યારે ઉમરગામ-ભિલાડ રોડ પર આવેલા સંજાણ નજીકના ધિમસાકાકરિયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચાલકે ગાડી પરથી સ્ટિયરિંગનો કાબૂ ગુમાવી દીધો હતો. પૂરઝડપે દોડતી કાર બેકાબૂ બનીને સીધી રોડની સાઈડના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માતનો આ ભયંકર અવાજ સાંભળીને આસપાસના ગ્રામસ્થો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા હતા.


સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા તમામ ઈજાગ્રસ્ત યુવાનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ અને વધુ પડતા લોહી વહી જવાના કારણે અર્જુન શાહ, નરેન્દ્ર રાઠોડ અને બાલારામ મેઘવાલનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ મિત્રોને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકો પૈકી અર્જુન અને બાલારામ ઓટોરિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જ્યારે નરેન્દ્ર ક્લેન્ડઝેડ કંપનીમાં નોકરી કરીને પરિવારને આર્થિક સહયોગ આપતો હતો. એકસાથે ત્રણ યુવાનોના મોતના કારણે તેમના પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધા હતા અને આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application