જામનગર જિલ્લાની તમામ ITI માં પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ શરૂ: તા.૧૪ ઓગષ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને એડમિશન ફોર્મ ભરવા માટે તમામ સરકારી ITI ખાતે વિનામૂલ્યે 'હેલ્પ સેન્ટર' કાર્યરત
રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે વિવિધ વ્યવસાયિક કોર્સોમાં પ્રવેશ મેળવવાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ત્રીજા તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ જુદા જુદા ટેકનિકલ ટ્રેડમાં બાકી રહેલી જૂજ ખાલી બેઠકો ભરવા માટે સુધારેલા સમયપત્રક મુજબ ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા તારીખ ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી ૧૪ ઓગષ્ટ, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે, તેમ ITI જામનગરના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.
ચાલુ શૈક્ષણિક વર્ષે એડમિશન મેળવવા ઇચ્છુક અને નિયત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અધિકૃત પોર્ટલ https://itiadmission.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારના જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય, ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ન હોય કે યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય, તેમના માટે જામનગર જિલ્લાની તમામ સરકારી ITI ખાતે વિશેષ 'હેલ્પ સેન્ટર' શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ સેન્ટરો પર ઉમેદવારો કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર, સંપૂર્ણપણે વિનામૂલ્યે નિષ્ણાતોની દેખરેખ હેઠળ પોતાનું ઓનલાઈન એડમિશન ફોર્મ ભરાવી શકશે.
આજની ઔદ્યોગિક જરૂરિયાતો મુજબ ટેકનિકલ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન કરી આત્મનિર્ભર બનવા તેમજ ઉજ્જવળ રોજગારીની તકો મેળવવા ઈચ્છતા જામનગર જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. પ્રવેશથી વંચિત રહી ગયેલા લાયક ઉમેદવારોએ તા. ૧૪ ઓગસ્ટ સુધીમાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા આચાર્યશ્રી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.