દ્વારકા ખાતે જન્માષ્ટમી દરમ્યાનનો પાર્કિંગ ઝોન તથા પાર્કિંગ વિસ્તાર અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ
વહીવટી તંત્ર દ્વારા કૃષ્ણભકતોને મુશ્કેલી ન પડે તે માટે કરાયુ સુચારુ આયોજન
આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકામાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. ૭ ઓક્ટોબર સુધી દ્વારકા શહેરના કેટલાક વિસ્તારોનો પાર્કિંગ તેમજ પાર્કિંગ ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જેમાં દ્વારકાના પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી ૫૦ મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી ૫૦ મીટર ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી ૫૦ મીટર ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર ૫૦ મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર ૧૦૦ મીટર ત્રિજ્યા, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્કોન ગેઈટ સુધી ૧૦૦ મીટર ત્રિજ્યા, મંદિર ચોક આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ મીટર ત્રિજ્યા, નીલકંઠ ચોક આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ ત્રિજ્યા, સરકારી હોળી ચોક આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ મીટર ત્રિજ્યા, મહાજન બજાર ચાર રસ્તા આસપાસનો વિસ્તાર સુધી ૧૦૦ મીટર ત્રિજ્યા અને કીર્તિસ્તંભ,સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના ૨૦૦ મીટર ત્રિજ્યામાં નો પાર્કિંગ ઝોન તરીકે નિયત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથી ગેટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથી ગેટની સામે તથા હાથી ગેટની સામે (પૂર્વ તરફ) આવેલ પાર્કિંગ ગ્રાઉન્ડમાં ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે.
વહીવટી તંત્ર દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આવા વાહનોને ફરજ પરના પોલીસ અધિકારીએ યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરાવવાના રહેશે.
દ્વારકા શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા માટે તા. ૬ સપ્ટેમ્બર રાત્રિના ૧૦ વાગ્યા સુધી નીચે જણાવેલ રસ્તાઓ પર તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા જાહેરનામાની વિગત મુજબ હાથી ગેટથી કિર્તી સ્તંભ, કિર્તી સ્તંભથી દ્વારકાધીશ મંદીર તરફ, કાનદાસ બાપુ આશ્રમથી ભથાણ ચોક - કીર્તિસ્તંભ - દ્વારકાધીશ મંદીર તરફ, મહાજન બજારથી બ્રહ્મ કુંડ, બ્રહ્મ કુંડથી સરકારી હોળી ચોક, સરકારી હોળી ચોકથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મ કુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ તમામ ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ અને ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે. જ્યારે ધીંગેશ્વર મંદીરની સામેની શેરી દ્વારકાધીશ મંદીર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર, નિલકંઠ ચોક, દ્વારકાધીશ મંદીર તરફ આવા વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે.
ઇસ્કોન ગેઈટથી ભથાણ ચોક, જોધાભા માણેક ચોક, દ્વારકાધીશ મંદીર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પિટલ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ અને ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.