જામનગરમાં ગુજસીટોકના ગુનાઓની તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ASI પ્રતિપાલસિંહ જાડેજાનું સન્માન
સંગઠિત ગુનાઓનો ભેદ ઉકેલવામાં કડીરૂપ પુરાવા એકત્રિત કરવા બદલ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરાયો
જામનગરમાં ચકચાર મચાવનાર જયેશ પટેલ, સાયચા ગેંગ, અલ્તાફ ખફી અને અસલમ ખિલજી ગેંગ જેવા સંગઠિત ગુનેગારો વિરુદ્ધ દાખલ થયેલા 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળના ગુનાઓમાં અદભુત કામગીરી કરવા બદલ શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના એ.એસ.આઇ. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજાને ગઈકાલે પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રેન્જ આઇજીની સૂચના અને જામનગરના એસપી ડો. રવિ મોહન સૈની તેમજ ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ, પ્રતિપાલસિંહે તપાસનીશ અધિકારી સાથે રાઈટર તરીકે મદદમાં રહીને આ સિન્ડિકેટ ગેંગ વિરુદ્ધ કડીબદ્ધ અને મહત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી.
તેમની આ પ્રશંસનીય અને ગૌરવપૂર્ણ કામગીરીની નોંધ લઈને રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (IGP) નિર્લિપ્ત રાય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જે બદલ ASI પ્રતિપાલસિંહ જાડેજાએ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીને IGP નિર્લિપ્ત રાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.