હાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
જામખંભાળીયામાં ડો. કંડોરીયાની મૃત્યુની હજુ શાહી સુકાઇ નથી ત્યાં કલ્યાણપુર, ધ્રોલના યુવા શિક્ષકના હ્યદયરોગના હુમલાથી નિધન
કોરોના કાળ બાદ હ્યદગરોગના હુમલાનું પ્રમાણ વઘ્યું છે જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે, જામખંભાળીયાના સેવાભાવી યુવા ડોકટર પી.વી. કંડોરીયાનું કેદરનાથ યાત્રા દરમ્યાન હાર્ટએટેકથી મૃત્યુ થયાનું હજુ શાહી સુકાઇ નથી ત્યાં હાલારના કલ્યાણપુર અને ધ્રોલના બે યુવા શિક્ષકોના હ્યદયરોગના હુમલાથી નિધન થતાં સમગ્ર હાલારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
દ્વારકા તાલુકાના કલ્યાણપુર વાડી વિસ્તારમાં રહેતા અને રાયમલભા સુમરાભા સુમણીયા નામના ૪૬ વર્ષના હિન્દુ વાઘેર શિક્ષક યુવાનને છેલ્લા કેટલાક સમયથી લીવરની બીમારી હોય, તે દરમિયાન ગત તા. ૨૬ જુલાઈના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની કાર રોડની એક સાઇડમાં પાર્ક કરીને તેમાં સૂતા હતા. તે દરમિયાન તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પત્ની મોંઘીબેન રાયમલભા સુમણીયાએ દ્વારકા પોલીસને કરી છે.
ધ્રોલના બી.એમ. પટેલ સ્કૂલના ટ્રસ્ટી અને એનસીસીના શિક્ષક કિરીટભાઇ વિરમગામા (ઉ.વ. ૪૮) ગઇકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે એમને અચાનક છાતીમાં તીવ્ર દુ:ખાવો ઉપડ્યો હતો અને દુ:ખાવો ગંભીર બનતા પરિવારજનો દ્વારા તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા.
કિરીટભાઇ વિરમગામા નિષ્ઠાવાન અને કુશળ સંચાલક, વિદ્યાર્થીઓના પ્રિય અને માર્ગદર્શક હતા, શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓને શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકાસાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના મૃત્યુથી ધ્રોલ તાલુકા પંથકમાં અને શિક્ષણજગતમાં શોકની લહેર છવાઇ જવા પામી છે.