જામનગરમાં સ્થાનકવાસી જૈન સમાજના તપસ્વીઓના પારણાં, ભવ્ય શોભાયાત્રા
જામનગરમાં ગઇકાલે સંવત્સરી પર્વની સાથે જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્ણાહુતી થઇ હતી. જૈન સમાજના લોકોએ ગઇકાલે પ્રતિક્રમણ બાદ એકબીજાને મિચ્છામી દુક્કડમ પાઠવી ક્ષમાયાચના કરી હતી. શહેરમાં આજે સવારે સ્થાનકવાસી જૈનસમાજના તપસ્વીઓની ચાંદીબજારથી શણગારેલા વાહનો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી. માર્ગો પર લોકોએ હાથ જોડીને તપસ્વીઓની અનુમોદના કરી હતી. ત્યારબાદ તંબોલીની વાડીમાં તપસ્વીઓએ સામૂહીક પારણાં કર્યા હતાં. તપસ્વીઓની શોભાયાત્રામાં જૈનચાર્યોેની સાથે જૈન સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.અત્રે નોંધનીય છે કે, પર્યુષણ પર્વમાં સ્થાનકવાસી જૈન સમાજમાં ચાંદી બજાર સંઘ, કે.ડી.શેઠ ઉપાશ્રય, જૈન હાલારી સંપ્રદાય પટેલ કોલોની ઉપાશ્રય, સ્વ.મ.મુ.મેહતા જૈન પ્રવાસી ગૃહ, તેજ પ્રકાશ અને રણજીતનર ઉપાશ્રયમાં મળી કુલ ૮૦ તપસ્વીઓએ તપશ્ર્ચર્યા કરી છે. જેમાં માસક્ષમણ ૨, ૧૬ ઉપવાસ ૪, ૧૨ ઉપવાસ ૧, ૧૧ ઉપવાસ ૨, ૧૦ ઉપવાસ ૧, ૯ ઉપવાસ ૭, ૮ ઉપવાસ ૫૮, ૭ ઉપવાસ ૧, ૬ ઉપવાસ ૪ નો સમાવેશ થાય છે.