વર્લ્ડ ફર્સ્ટ એઇડ-ડે નિમિતે જામનગરમાં સીપીઆર અને ટ્રેનીંગ સેમીનારનું આયોજન
નિષ્ણાંત તબીબો દ્વારા અકસ્માત તથા વિવિધ મેડીકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું સહિતની માહિતીથી કરાયા માહિતગાર
૧૨ સપ્ટેમ્બર એટલે વર્લ્ડ ફર્સ્ટ એઇડ-ડે, અકસ્માત કે કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી દરમિયાન ડોક્ટર અથવા હોસ્પિટલ સુધી દર્દી પહોંચે તે પહેલાં જીવન બચાવવાના પ્રથમ અને મહત્વપૂર્ણ પગલાં શું હોઈ શકે તે અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી રોટરી ક્લબ ઇમેજિકા જામનગર અને બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જામનગર દ્વારા સંયુક્તપણે એક વિશેષ ફર્સ્ટ એઇડ અવેરનેસ સેમીનાર અને સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોર્ડ્સ સ્ટુડિયો ઈન હોટેલ, જામનગર ખાતે સાંજે ૪ વાગ્યાથી યોજાયેલા આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઇમેજિકા જામનગરના આશરે ૪૦થી ૫૦ સભ્યો તથા તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે જાણીતા તબીબો ડો. મિલન રાબડીયા (ઇમરજન્સી મેડીસીન) અને ડો. મોહિત પાબારી (ઓર્થોપેડીક સર્જન) દ્વારા અકસ્માત તથા વિવિધ મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું, ફર્સ્ટ એઇડનું મહત્વ, સીપીઆર કેવી રીતે અને ક્યારે આપવું તથા દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તે પહેલાંની નિર્ણાયક ક્ષણોમાં યોગ્ય રીતે પ્રતિસાદ કેવી રીતે આપવો તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હાર્ટ એટેક, અચાનક બેભાન થવું, રોડ અકસ્માત કે અન્ય દુર્ઘટના, દાઝી જવાની ઘટના, ડિહાઇડ્રેશન અથવા અન્ય કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં દર્દીની પાસે સૌપ્રથમ પહોંચનાર વ્યક્તિ ઘણી વખત પરિવારનો સભ્ય, પાડોશી, રાહદારી અથવા ઓફિસનો સહકર્મચારી હોય છે. આવી વ્યક્તિ જ દર્દી માટે ફર્સ્ટ રીસ્પોન્ડર બની શકે છે.
આવી પરિસ્થિતિમાં ગભરાઈ જવાને બદલે યોગ્ય ફર્સ્ટ એઇડ અને સીપીઆર અંગેની જાણકારી હોવી અત્યંત જરૂરી છે. ખોટી સારવાર કરવાને બદલે તબીબી માર્ગદર્શન મુજબ યોગ્ય પ્રથમ પગલું લેવામાં આવે તો હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી દર્દીના જીવન માટે તે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
કાર્યક્રમમાં ગોલ્ડન કલાકનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. ઈમરજન્સીના પરિસ્થિતિમાં સમયસર મળેલી મદદ અને એક યોગ્ય ફર્સ્ટ રીસ્પોન્ડર દર્દીના જીવન બચાવવામાં અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે.
ડોક્ટર સુધી પહોંચે તે પહેલાં શું કરવું તેની જાણકારી દરેક નાગરિકને હોવી જરૂરી કાર્યક્રમ દરમિયાન એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ અથવા હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ મદદ કરવાની શરૂઆત ઘટના સ્થળેથી જ થઈ શકે છે. તેથી ડોક્ટર કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી દર્દી પહોંચે તે પહેલાં શું કરવું, શું ન કરવું અને કઈ સ્થિતિમાં સીપીઆર અથવા ફર્સ્ટ એઇડ જરૂરી છે તેની મૂળભૂત જાણકારી દરેક નાગરિકને હોવી જોઈએ.
આ કાર્યક્રમ માત્ર એક સીપીઆર ટ્રેનીંગ પ્રોગ્રામ ન રહેતા દરેક પરિવાર, ઓફિસ, સંસ્થા અને સમાજ સુધી ફર્સ્ટ એઇડ અને ઇમરજન્સી રીસ્પોન્સ અંગેની જાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ બન્યો.
વર્લ્ડ ફર્સ્ટ એઇડ ડે નિમિત્તે બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, જામનગર દ્વારા એવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો કે વધુમાં વધુ લોકો સુધી સીપીઆર, ફર્સ્ટ એઇડ અને ઇમરજન્સી રીસ્પોન્સ અંગેની મહત્વપૂર્ણ માહિતી પહોંચે. સમયસર ફર્સ્ટ રીસ્પોન્સ અને ત્યારબાદ યોગ્ય ક્રીટીકલ કેર મળે તો અનેક કિસ્સાઓમાં જીવન બચાવી શકાય છે.
મેડિકલ સાયન્સની દૃષ્ટિએ પણ દર્દી તથા તેની આસપાસના પરિવારજનો અને સંભાળ લેનાર લોકોને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવું એ મહત્વપૂર્ણ સામાજિક જવાબદારી છે. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા સામાન્ય નાગરિકોને ઇમરજન્સીની સ્થિતિમાં વધુ આત્મવિશ્વાસપૂર્વક અને યોગ્ય રીતે પ્રતિસાદ આપવા સક્ષમ બનાવી શકાય છે.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સહયોગ બદલ બરોડા હાર્ટ એન્ડ શારદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના યુનિટ હેડ ડો. સંજય પન્ના, રોટરી ક્લબ ઇમેજિકા જામનગરના પ્રેસિડેન્ટ રોટેરીયન હરદીપસિંહ જાડેજા તથા પ્રોજેક્ટ ચેર રોટેરીયન હર્ષ પરમારનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રોટરી ક્લબ ઇમેજિકા જામનગરના સભ્યો, હોસ્પિટલની ટીમ અને મીડિયા ક્ષેત્રના મિત્રો સાથે મળીને યોજાયેલું આ આયોજન જામનગરમાં ફર્સ્ટ એઇડ અને સીપીઆર અંગે જનજાગૃતિ ફેલાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયું.