BREAKING NEWS

જામનગરમાં નહીંવત વરસાદમાં આંગણવાડી, ગાંધીનગર મુખ્ય માર્ગ પર પાણીના તલાવડા

  • September 16, 2026 12:41 PM 

જામનગરમાં નહીંવત વરસાદમાં આંગણવાડી, ગાંધીનગર મુખ્ય માર્ગ પર પાણીના તલાવડા

પ્રીમોન્સુન કામગીરીના ધજાગરા:રાજપાર્કમાં નંદઘરનું પ્રાંગણ તળાવમાં ફેરવાતા ભૂલકા, વાલીઓ પરેશાન, ગાંધીનગર જતા માર્ગ પર ભરાતા પાણી દુકાનો અને ઘરમાં ઘૂસવાની ભીતિ

દર વર્ષે ચોમાસામાં વરસાદના ઝાપટા પડતા પાણી ભરાવાની સમસ્યાથી મહાનગરપાલીકાની કામગીરી સામે સવાલ: રહેવાસીઓ અને દુકાનદારો સમસ્યાથી ત્રાહીમામ 

જામનગરમાં નહીંવત વરસાદમાં આંગણવાડી અને ગાંધીનગર મુખ્ય માર્ગ પર પાણીના તલાવડા ભરાતા મનપાની પ્રિમોન્સુન કામગીરીના દાવા વધુ એક વખત પોકળ પુરવાર થયા છે. રાજપાર્કમાં નંદઘરનું પ્રાંગણ તળાવમાં ફેરવાતા અને ગાંધીનગર જતાં મુખ્ય માર્ગ પર ભરાયેલા પાણીના તલાવડાએ મનપાના અધિકારીઓની કામ કરવાની કૂશળતા સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉભા કર્યા છે. દર વર્ષે ચોમાસામાં વરસાદના ઝાપટા પડતા પાણી ભરાવાની સમસ્યાથી મહાનગરપાલીકાની કામગીરી સામે સવાલ: ઉઠયા છે તો આ સમસ્યાના કારણે રહેવાસીઓ અને દુકાનદારો ત્રાહીમામ પોકારી ગયા છે. 

જામનગર શહેરમાં મેઘરાજાની પધરામણી સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા મનપાની પ્રિમોન્સુન કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. શહેરના વોર્ડ નં. ૧૦માં આવેલા રાજપાર્ક વિસ્તારમાં થોડા વરસાદમાં જ નંદ ઘર કેન્દ્ર-૪ એટલે કે આંગણવાડીનું સમગ્ર પ્રાંગણ પાણીમાં ગરકાવ થઈ જતાં નાના ભૂલકાંઓ અને તેમના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજપાર્ક વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં વરસાદ પડતાં જ પ્રાંગણમાં પાણી ભરાઈ જતું હોવાનું સ્થાનિકો અને વાલીઓએ જણાવ્યું હતું. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે આંગણવાડીનું પ્રાંગણ જાણે તળાવમાં ફેરવાઈ જતું હોય તેવી સ્થિતિ સર્જાય છે. પરિણામે આંગણવાડીમાં આવતા નાના બાળકોને અંદર આવવા-જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને નાના ભૂલકાંઓને વરસાદી પાણીમાંથી પસાર થઈને આંગણવાડી સુધી પહોંચાડવામાં વાલીઓને ભારે પરેશાની થાય છે. બાળકોના કપડાં અને ચંપલ-બુટ પણ પાણીમાં પલળી જવાની સ્થિતિ સર્જાતી હોવાથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ એક વખતની સમસ્યા નથી, પરંતુ અવારનવાર થોડો વરસાદ પડે ત્યારે પણ આંગણવાડીના પ્રાંગણમાં પાણી ભરાઈ જાય છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ઝડપથી થતો ન હોવાથી લાંબા સમય સુધી કાદવ-કીચડ અને ભરાયેલા પાણીની સ્થિતિ રહે છે. આંગણવાડીમાં અભ્યાસ અને પોષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે આવતા નાના બાળકો માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ જરૂરી છે. પરંતુ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે આંગણવાડીના બાળકો તેમજ તેમના વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજપાર્ક વિસ્તારના વાલીઓમાં  વોર્ડ નં. ૧૦ના નગરસેવકો તથા મહાનગરપાલિકાના અધિકારીઓ આંગણવાડીની પાણી ભરાવાની સમસ્યાનું સ્થળ નિરીક્ષણ કરી કાયમી ધોરણે પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.. નાના ભૂલકાંઓના આરોગ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને આંગણવાડીના પ્રાંગણમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરીં છે.

બીજી બાજુ શહેરમાં વરસાદના ઝાપટા પડતા પટેલકોલોની શેરી નં.૧૨માં ગાંધીનગર જતા મુખ્ય માર્ગ પર પાણીની રેલમછેલથી તલાવડા ભરાયા હતાં. આથી આ માર્ગ પર આવાગમન કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. આટલું જ નહીં આ માર્ગ પર દુકાન અને રહેણાંક મકાનો ધરાવતા લોકો તો આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયા છે. કારણ કે, માર્ગ પર ભરાતું વરસાદી પાણી દુકાન અને ઘરમાં ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ સમસ્યા દર ચોમાસામાં થતી હોય મનપા દ્વારા કેવા પ્રકારે માર્ગ બનાવ્યો છે તેની સામે સવાલો ઉઠયા છે. બીજી બાજુ આ સમસ્યાથી રહેવાસી અને દુકાનદારોમાં ભારે આક્ોશની લાગણી સાથે દેકારો બોલી ગયો છે.જેના પગલે ગઇકાલે મનપાના અધિકારીઓની ટીમ દોડી ગઇ હતી અને સ્થળ નિરીક્ષણ કર્યાનું જાણવા મળ્યું છે. પરંતુ ખરા અર્થમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે જોવાનું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application