વ્યાજખોરી-ખંડણીના મામલામાં જામનગરના પોલીસકર્મી સહિત ચાર સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં એસઆઈટીની તપાસ : ૫૦ લાખ સામે ૧ કરોડ ચૂકવ્યા છતાં ૨ કરોડના ચેક પડાવ્યાનો ફરિયાદીનો આક્ષેપ : જામનગરમાં આરોપીઓના રહેણાંક ખાતે તપાસ
જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગર બદલી કરાયેલા પોલીસકર્મી અજયસિંહ ઝાલા સહિત ચાર શખ્સો સામે સરકારી કોન્ટ્રાક્ટર પાસેથી વ્યાજખોરી તથા બળજબરીથી નાણાં વસૂલવાના આક્ષેપો સાથે ગંભીર ફરિયાદ થતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી સમગ્ર પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે. જેના આધારે સીટની ટીમ દ્વારા જામનગર ખાતે આરોપીઓના રહેણાંકે તપાસ કરવામાં આવી હતી ઉપરાંત નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના વતની ફરિયાદી પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા (ઉ.વ.૩૨)ના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૪માં રેતીની લીઝના કામ માટે તેમણે અજયસિંહ ઝાલા પાસેથી ત્રણ ટકા વ્યાજે ૩૫ લાખ લીધા હતા. આ રકમ પેટે ૩૬.૦૫ લાખ ચૂકવી દીધા હોવાનો ફરિયાદીએ દાવો કર્યો છે. ત્યારબાદ જૂન-૨૦૨૫માં ફરી નાણાંની જરૂરિયાત ઊભી થતાં અજયસિંહે દર મહિને ૨૦ ટકા વ્યાજે વધુ ૧૫ લાખ આપ્યા હતા. ફરિયાદીના આક્ષેપ મુજબ, ૫૦ લાખની સામે રોકડ, ઓનલાઈન તથા આંગડિયા મારફતે અત્યાર સુધીમાં કુલ ૧,૦૫,૦૨,૦૦૦ ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં તેમની પાસેથી વધુ રકમની માગણી કરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તા.૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અજયસિંહ મહાવીરસિંહ ઝાલા ઉપરાંત દિવ્યરાજસિંહ ગંભીરસિંહ વાઢેર, અજયસિંહ જયેન્દ્રસિંહ વાઢેર અને યુવરાજસિંહ લાલુભા ઝાલા વડોદરા પહોંચ્યા હતા અને ફરિયાદીને ધમકી આપી હતી. બાદમાં ફરિયાદીને વડોદરા કોર્ટમાં લઈ જઈ ૨ કરોડ હાથઉછીના લીધા હોવાના ત્રણ અલગ-અલગ નોટરાઇઝડ લખાણ કરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
આ લખાણોના આધારે ૨ કરોડની રકમના ચેક મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચેક બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવી કાયદેસરની નોટિસો પાઠવી વધુ દબાણ ઊભું કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. રકમ નહીં ચૂકવવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવા ઉપરાંત ફરિયાદીના સગા-સંબંધીઓને પણ ફોન કરી ધમકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કોન્ટ્રાકટર દ્વારા રેન્જ આઇજી નિર્લિપ્ત રાયને રજુઆત કરી હતી એ પછી ફરીયાદના આદેશ છુટતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો, ફરિયાદી પાસે સમગ્ર વ્યવહાર અંગેની વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ તથા આંગડિયાની પહોંચ સહિતના પુરાવા હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) તથા નાણાં ધીરધાર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ સીટી-બી ડીવીઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
દરમિયાન, સુરેન્દ્રનગર એસઆઈટીની ટીમે જામનગરમાં પહોંચી પોલીસકર્મી અજયસિંહ ઝાલા ઉપરાંત અજયસિંહ વાઢેર, યુવરાજસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ વાઢેરના રહેણાંક સ્થળોએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આરોપીઓના રહેણાંક સહિત આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી જરૂરી નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સમગ્ર પ્રકરણમાં એસઆઈટી દ્વારા સઘન તપાસ ચાલી રહી છે અને તપાસના આધારે આગામી દિવસોમાં વધુ કાનૂની કાર્યવાહી થવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application