જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટીવ: એક બાળકીનું મોત
દ્વારકાના બાળકનો રિપોર્ટ હજુ બાકી, રોગ નિયંત્રણ માટે આરોગ્યતંત્ર ઉંઘામાથે
વાલીઓમાં ચિંતા, અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી
જામનગરમાં ચાંદીપુરા વાયરસના સંકાસ્પદ બે કેસમાં બન્ને બાળકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જો કે આ રિપોર્ટ આવે તે પૂર્વે એક બાળકીનું મોત નિપજયું છે. હજુ બે બાળક સારવાર હેઠળ છે. જયારે દ્વારકાના બાળકનો રિપોર્ટ આવવાનો બાકી છે. બાળકો માટે જોખમી રોગ નિયંત્રણ માટે આરોગ્ય તંત્ર ઉંધામાથે કામગીરીમાં લાગ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ સહીતની કાર્યવાહી હાથ ધરી છે.
રાજયની સાથે હાલારમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. કારણ કે, જામનગરમાં વોર્ડ નં.૬ માં ઢીંચડા રોડ પર રવિપાર્ક વિસ્તારમાં રહેતી ૨ વર્ષની બાળકી ભારે તાવ અને આંચકી આવતા બે દીવસ પહેલા રાત્રીના જી.જી.હોસ્૫િટલમાં સારવાર અર્થે આવ્યો હતો. જયારે વોર્ડ નં.૬ અને ૭ ની છેવાડે આવેલા ગણપતનગર વિસ્તારમાં રહેતા એક ૧૧ મહીનાના બાળકોને પણ અતિશય તાવ આવતા જી.જી.હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. દ્વારકામાં રહેતા એક ૬ વર્ષના બાળકને પણ ભારે તાવ આવતા ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબીબોએ ત્રણેય બાળકોના લોહીના સીરમ અને મગજમાંથી સીએસએફના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં જે પૈકી જામનગરના બન્ને બાળકોના ચાંદીપુરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે જો કે, રિપોર્ટ આવે તે પૂર્વે શનિવારે મોડીસાંજે જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રવિપાર્કમાં રહેતી બે વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું. જો કે, દ્વારકાના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવવાનો હજૂ બાકી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં બાળકો માટે જોખમી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ત્રણ કેસથી આરોગ્ય તંત્ર ઉંધામાથે કામગીરીમાં લાગ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. બે બાળકો હજુ જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે, નવા કોઇ શંકાસ્પદ કેસ ન આવ્યાનું જાણવા મળ્યું છે.