જામનગરના વાદી કલ્પેશ નરેન્દ્રભાઈ રૂપારેલ દ્વારા પ્રતિવાદી અલ્કાબેન કુલદીપભાઈ ગજરા ને રૂ.પાંચ લાખ થોડા સમય માટે હાથ ઉછીના આપેલ જે રકમની વાદીએ ઉઘરાણી કરતા પ્રતિવાદી દ્વારા રૂ. પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક નાણાં ના અભાવે પરત થતા વાદી દ્વારા પ્રતિવાદી સામે સિવિલ કોર્ટમાં લેણી રકમનો સમરી દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
જે દાવામાં વાદી દ્વારા એ હકીકતની અરજી આપવામાં આવેલ કે વાદીનો દાવો પ્રથમ દર્શનીય છે તથા પ્રતિવાદી નો કોઈ બચાવ નથી માટે સમરી પ્રોસીડીંગ્સ મુજબ પ્રતીવાદી વિરુદ્ધ જજમેન્ટ આપવામાં આવે.
જે સામે પ્રતિવાદી દ્વારા એડવોકેટ મારફતે સિવિલ પ્રોસિજર કોડ ઓર્ડર ૭, રુલ ૧૧ તથા કલમ ૧૫૧ મુજબ અરજી આપવામાં આવી હતી. કે વાદીને દાવાનું કોઈ જ કારણ ઉત્પન્ન થયેલ નથી તથા ચોક્કસ લેણી રકમ કઈ તારીખે આપવામાં આવેલ તે સંપૂર્ણ દાવામાં દર્શાવેલ નથી આમ વાદીનો દાવો સમય મર્યાદા બહાર છે તથા દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યો હતો.
પ્રતિવાદીના એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી એડી. સિવિલ જજ યુ. એસ. પરમાર દ્વારા વાદીનો દાવો સમય મર્યાદાના કાયદા મુજબ ચાલવા પાત્ર ન હોય પ્રારંભિક તબક્કે જ રદ કરવામાં આવેલ છે. પ્રતિવાદી તરફે જામનગરના એડવોકેટ કિશોર ડી. ભટ્ટ, પાર્થ જે. મોદી, અને રજની પી. ગોસાઈ રોકાયેલ હતા.