જામનગર: ખોટા કારણો આપી કલેઈમ રીજેક્ટ કરનાર વીમા કંપનીને રૂ. ૬.૯૧ લાખ ચુકવવા આદેશ
જામનગર ખાતે રહેતા કરણ શાંતિલાલ દાવડા તેમના માતાની મેડીકલ હેલ્થ પોલીસી ધરાવે છે. જે કેર હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની લી. ની છે. જે પોલીસી રૂ. ૨૫,૦૦,૦૦૦/- કવર કરે છે, અને તેના ઉપર રૂ. ૩૮,૬૨૦/-પ્રીમીયમ ભરપાઈ કરવામાં આવેલું હતું. ત્યારબાદ ફરિયાદીના માતાને અચાનક છાતીમાં દુ:ખાવો થતા ક્રીટીસર્જ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ ડીસ્ચાર્જ લઇ અમદાવાદ ખાતે એઈમ્સ હોસ્પીટલમાં કોરોનરી એન્જીયોગ્રાફીની સારવાર લઇ ડીસ્ચાર્જ થયેલ હતા. આ બન્ને હોસ્પીટલમાં ફરિયાદીને કુલ રૂ. ૬,૯૧,૩૫૫/- નો ખર્ચ થયેલ હતો.
જે અંગે ફરિયાદી દ્વારા કેર હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીમાં કલેઈમ નોંધાવવામાં આવેલ હતો. આ કલેઈમ નોંધાયા બાદ સામાવાળા વીમા કંપની દ્વારા ફરિયાદીનો સાચો કલેઈમ એવા કારણસર રદ કરવામાં આવેલ કે, ફરિયાદી દ્વારા પોલીસી લેતી વખતે તેમની માતાની અગાઉની બીમારી છુપાવવામાં આવેલ છે, જેથી ફરિયાદી દ્વારા જામનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેર હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની સામે ગ્રાહકને આપવી પડતી સેવામાં ખામીની ફરિયાદ નોંધાવવામાં આવેલ અને રૂ. ૬,૯૧,૩૫૫/- ચુકવી આપવા જણાવવામાં આવેલ હતું.
ત્યારબાદ આ ફરિયાદ ચાલી જતા ફરિયાદીના વકીલની વિસ્તૃત દલીલો તથા ચુકાદાઓ ધ્યાને લઇ કમીશન દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરી સામાવાળા વીમા કંપની કેર હેલ્થ ઇન્સ્યુરન્સ કંપનીએ ફરિયાદીને સારવારમાં થયેલ ખર્ચ મુજબની રકમ રૂ. ૬,૯૧,૩૫૫ તથા રૂ. ૫,૦૦૦ ખર્ચના ચૂકવવાનો હુકમ કરેલ છે. સામાવાળા રકમ એક માસમાં ચુકવવામાં જો નિષ્ફળ જાય તો વ્યાજનો દર નવ ટકા ગણી રકમ ચુકવવા હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયા હતા.