જામનગર કલેક્ટર પી. બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જામનગર જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લામાં નવી વાજબી ભાવની દુકાનો શરૂ કરવા, મર્જ/ બ્રાન્ચ એફપીએસ કરવા તેમજ જિલ્લા તકેદારી સમિતિની રચના સહિત નાગરિક પુરવઠા સંબંધિત વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સરકાર માન્ય વાજબી ભાવની દુકાન શરૂ કરવા માટેના પ્રવર્તમાન વસ્તી ધોરણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ધોરણો અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં ૩,૦૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ ઓછામાં ઓછી ૭૫ ટકા વસ્તી માટે એક વાજબી ભાવની દુકાન ખોલવા અંગે તેમજ શહેરી વિસ્તારમાં ૭,૫૦૦ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ ઓછામાં ઓછી ૪૮ ટકા વસ્તી માટે એક વાજબી ભાવની દુકાન ખોલવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત, ૩,૦૦૦થી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં જરૂરીયાત અને ધોરણો મુજબ મર્જ કે બ્રાન્ચ એફ.પી.એસ. તરીકે કાર્યરત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જામનગર શહેરના અંબાજી ચોક વિસ્તાર તેમજ મોરકંડા રોડ, કલ્યાણ સોસાયટી વિસ્તારમાં શહેરી વિસ્તારના ધોરણો મુજબ બે નવી વાજબી ભાવની દુકાનો શરૂ કરવા અંગે આવેલ નવી દુકાનની દરખાસ્ત અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મર્જ એફ.પી.એસ. અને બ્રાન્ચ એફ.પી.એસ. કરવા પાત્ર દુકાનો અંગેની દરખાસ્તોની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જગા, દડિયા અને નાઘેડી ગામની દુકાનોનો સમાવેશ થાય છે.
બેઠકમાં જિલ્લા તકેદારી સમિતિની રચના તેમજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી.બારડ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી સહિત સંબંધિત અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.