દેવભૂમિ દ્વારકા જિલ્લાની સહકારી મંડળીઓએ પોતાના હિસાબો રજૂ કરવા જિલ્લા રજિસ્ટ્રારની તાકીદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલ શાહુકારોએ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ - ૨૦૧૧નું પાલન કરીને તે અનુસાર કામગીરી કરવાની હોય છે.
ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ મુજબ તારણવાળા ધિરાણ માટે વ્યાજનો વાર્ષિક દર ૧૨% થી વધુ નહિં અને તારણ વિનાના ધિરાણ માટે વ્યાજનો દર વાર્ષિક ૧૫% થી વધુ નહિં તેમ જોગવાઈ કરવામાં આવેલ છે.
અધિનિયમની કલમ - ૨૩ (૧) મુજબ નાણાંકિય વર્ષ દરમ્યાન પરવાનેદારે તેના નાણાં ધિરધારના હિસાબોનું ઓડિટ કરાવવાનું રહે છે. કલમ-૨૧(૧) અંતર્ગત શાહુકારો દ્વારા ઓનલાઇન નોંધણી કરી તમામ માસિક વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઈન રજૂ કરવા ફરજિયાત છે.
પરંતુ પરવાનેદારો દ્વારા માસિક/વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઈન ઈ-કોઓપરેટીવ (https://ecooperative.gujarat.gov.in) પોર્ટલ પર રજુ કરવામાં આવતા ન હોય, જે નાણાં ધિરધાર અધિનિયમની કલમ-૪૪નું ઉલ્લંધન થાય છે, જે ગંભીર બાબત છે.
રૂ.૫૦ લાખથી ઓછુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતા વૈધાનિક ઓડિટર પાસે દર વર્ષે ઓડીટ કરાવવાનું રહેશે તથા રૂ.૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટડ એકાઉટન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ઓડીટ કરાવવાનું રહેશે. જેથી તા.૩૧/૦૩/૨૦૨૬ અંતિત હિસાબોનું ઓડીટ સત્વરે પૂર્ણ કરાવી ઓડિટ રિપોર્ટ ઓનલાઇન રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
આ મુજબની સૂચનાઓનું પાલન થયું ન હોવાથી આ બાબતે દિન-૭ માં સ્પષ્ટતા સહ ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવે છે. અન્યથા શાહુકારો સમક્ષ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની નોંધ લેવા શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, દેવભૂમિ દ્વારકા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.