જામનગરના બિસ્માર રસ્તાઓ રિપેર કરવા માંગ, જાગૃત નાગરિક દ્વારા મેયરને પાઠવ્યો પત્ર
જામનગર શહેરના રોડ રસ્તાઓ મગરની પીઠ સમાન બની ગયા છે અને ઠેર ઠેર ખાડાઓને કારણે નગરજનો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે જામનગરના જાગૃત નાગરિક ચેતનકુમાર ભાંભી દ્વારા મેયરને પત્ર પાઠવીને ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે કે જામનગર શહેરના રસ્તાઓ બિસ્માર બની ગયા છે, રસ્તાઓ ઉપર કોન્ટ્રાકટર દ્વારા નબળુ કામ કરવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરીને ખંભાળીયા ગેઇટ, શિવહરી ટાવર, તળાવની પાળ અને પવનચક્કી સર્કલથી લઇને દિ. પ્લોટ સુધીના ભરચક્ક વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે.
સાથોસાથ શહેરના અનેક રસ્તાઓની હાલત આવી જ જોવા મળી રહી છે. સ્કુલે જતા બાળકો, નોકરી ધંધાર્થે જતા નાગરિકો ખરાબ રસ્તાના કારણે સમયસર પહોંચી શકતા નથી અને નાના મોટા અકસ્માતો થાય છે. આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.