જામનગરમાં જર્જરીત બંધ મકાનની દીવાલ તૂટી, મનપા દ્વારા ડીમોલીશન
સેન્ટ્રલ બેંક સામે રૂગનાથ ફળીમાં એસ્ટેટ અને ટીપીઓ શાખા દ્વારા કાર્યવાહી
બે માળના ખખડધજ મકાનનો જોખમી ભાગ દૂર કરવા પાડતોડની કામગીરી
જામનગરમાં સેન્ટ્રલ બેંક સામે રૂગનાથ ફળીમાં આવેલા જર્જરીત બંધ મકાનની દીવાલ ગઇકાલે સાંજે ધરાશાયી થઇ હતી. આજે સવારે મહાનગરપાલીકા દ્વારા આ મકાનનું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. મનપાની એસ્ટેટ અને ટીપીઓ શાખા દ્વારા બે માળના ખખડધજ મકાનનો જોખમી ભાગ દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવતા લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.
જામનગરમાં સેન્ટ્રલ બેંક સામે રૂગનાથ ફળીમાં આવેલા એક જર્જરીત મકાનની દીવાલ મંગળવારે સાંજે ધરાશાયી થઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્ર્ર્રીગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જો કે, આ મકાન વર્ષોથી બંધ હોય તથા દીવાલ તૂટી તે સમયે ત્યાંથી કોઇ પસાર થતું ન હોય જાનહાની ટળી હતી. આજે સવારે આ ખખડધજ બંધ મકાનના ડીમોલીશનની કામગીરી મનપાની એસ્ટેટ અને ટીપીઓ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન આ બે માળના જર્જરીત મકાનનનો જોખમી ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. પાડતોડની કામગીરી દરમ્યાન લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. અત્રે નોંધનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલીકા દ્વારા ચોમાસા પૂર્વે જર્જરીત ઇમારતોનો સર્વે કરી સંબધીત માલીકો અને વપરાશકર્તાઓને નોટીસ ફટકારવામાં આવી છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં મકાનનો જોખમી ભાગ દૂર કરવામાં ઉદાસીનતાને કારણે છાશવારે આ પ્રકારના બનાવ બની રહ્યા છે.