ત્રીજા સોમવારે વિશાળકાય શિવલિંગ, બિલીપત્ર, અર્ધચંદ્ર અને ત્રિશૂલ સહિતની રચના બની આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતના ખ્યાતનામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારે કષ્ટભંજન દેવના ભવ્ય અને અલૌકિક શણગાર સાથે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનદાદાને ભગવાન શિવજીના શિવલિંગ સાથેની જાંખી સ્વરૂપે શણગારવામાં આવતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કષ્ટભંજન દેવની ફરતે વિશાળકાય શિવલિંગની રચના કરવામાં આવી હતી. શિવલિંગ પર મોટા કદનું બિલીપત્રનું પ્રતિક મૂકવામાં આવ્યું હતું. જ્યારે ભગવાન શિવજીના મસ્તક પર વિરાજમાન અર્ધચંદ્ર, કપાળ પર ત્રિપુંડ તથા તિલક સહિતના ધાર્મિક પ્રતિકો આ જાંખીની વિશેષતા બની રહ્યા હતા.
આ ઉપરાંત શિવલિંગની આસપાસ નાના-નાના ત્રિશૂળ, ડમરુ સહિતની વિવિધ રચનાઓ કરવામાં આવી હતી. સમગ્ર શણગારને કારણે કષ્ટભંજન દેવનું મંદિર પરિસર શિવમય બની ગયું હતું અને ભવ્ય જાંખી ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.
શ્રાવણ માસના ત્રીજા સોમવારના પવિત્ર દિવસે કષ્ટભંજન દેવના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો સાળંગપુર ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ શિવલિંગ સાથેના કષ્ટભંજન દેવના આ દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.