છોટીકાશી જામનગરમાં ગઇકાલે અમાસના પવિત્ર શ્રાવણી મહીનાની હર હર મહાદેવના નાદ સાથે પૂર્ણાહુતી થઇ છે. દેવાધિદેવ મહાદેવની ભકિતના મહીનાની પૂર્ણાહુતી સાથે પાર્વતીપુત્ર દૂંદાળાદેવના ૧૧ દીવસના ગણેશોત્સવની ભાવીકો દ્વારા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. શહેરમાં સોમવારે ગણેશોત્સવનો પ્રારંભ થતો હોય તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ગણેશ પંડાલ ઉભા કરવામાં આવ્યા છે અને રોશની તથા અન્ય ડેકોરેશનના અનેરા શણગાર કરવામાં આવ્યા છે. આટલું જ નહીં ઘણા શહેરીજનો દ્વારા ગણપતીબાપાની ઘરમાં પધરામણી કરવાની હોય ફુલ તથા અન્ય સજાવટ કરવામાં આવી છે. વિઘ્નહર્તાને આવકારવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન ગજાનની મૂર્તિની સાથે શણગારની ચીજ-વસ્તુઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. જામનગરમાં સોમવારે વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળ વચ્ચે ભગવાન ગણપતિની પરંપરાગત વિધિ અને મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવશે.