દેવભૂમિ દ્વારકા: અષાઢી અમાસે દ્વારકાધીશના દર્શને ભક્તો ઉમટ્યા
ગોમતી ઘાટે વહેલી સવારથી જ સ્નાન કરી ભક્તોએ બાંઘ્યું પૂણ્યનું ભાથું
અષાઢ માસની અમાસના પવિત્ર પર્વે દ્વારકા જગત મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અમાસના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી દ્વારકામાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
ભક્તોએ વહેલી સવારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ત્યારબાદ ૫૬ પગથિયાં ચઢીને સ્વર્ગદ્વારથી જગત મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં પણ દર્શન કરી ભક્તોએ ધર્મમય દિવસની ઉજવણી કરી હતી.
અમાસના પર્વને પગલે સામાન્ય દિવસોની સરખામણીએ દ્વારકા જગત મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી. ભક્તોને સરળતાથી અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે તે માટે દ્વારકા જગત મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી બંદોબસ્ત ગોઠવી ભીડનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. ગોમતી ઘાટથી લઈને જગત મંદિર પરિસર સુધી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પરિવારની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.