જામનગર શહેરમાં એક લાખ રાષ્ટ્રઘ્વજ વિતરણમાં ગોબાચારીનો આક્ષેપ
જામનગર શહેરમાં એક લાખ રાષ્ટ્રઘ્વજ વિતરણમાં ગોબાચારીનો આક્ષેપ
August 25, 2026 02:21 PM
જામનગર શહેરમાં એક લાખ રાષ્ટ્રઘ્વજ વિતરણમાં ગોબાચારીનો આક્ષેપ
મનપા દ્વારા નિયમો નેવે મૂકી પાછલા બારણે ટેન્ડર વગર કામ આપી દીધું
વીજીલન્સ તપાસ નહીં તો ધરણાં-આંદોલનની શહેર કોંગી પ્રમુખની ચિમકી
જામનગરમાં હર ઘર તિરંગા અભિયાત અંતર્ગત એક લાખ રાષ્ટ્રઘ્વજ વિતરણમાં મનપાએ નિયમો નેવે મૂકી પાછલા બારણે ટેન્ડર વગર કામ આપી ગોબાચારી આચરી હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે કમિશ્ર્નરને રજૂઆત કરી છે. જો આ અંગે વીજીલન્સ તપાસ કરી પગલાં લેવામાં નહીં આવે તો ધરણાં-આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્વસિંહ જાડેજા(દીગુભા)એ મનપાને કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા નિયત કરેલા અંદાજે એક લાખ રાષ્ટ્રઘ્વજ અને તિરંગા ફરકાવવા માટે લાકડાની તથા પીવીસી સ્ટીક સપ્લાય કરવા અને ફીટીંગ કરી લોડીંગ અને અનલોડીંગ માટે મજૂરી સાથેના ભાવના ટેન્ડર મહાનગરપાલીકા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતાં. મનપાની પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા દ્વારા તા.૧૨-૦૮-૨૦૨૬ના સીટી ઇજનેરની ચેમ્બરમાં આ ટેન્ડર ખોલવામાં આવ્યા હતાં. આ પ્રક્રીયા દરમ્યાન એક એજન્સીને ટેન્ડર ભાવ પ્રમાણે લાગ્યું હતું. પરંતુ ઉપરથી ફોન આવતા તમામ નિતી-નિયમો નેવે મૂકી સતા પક્ષના લોકોને આ કામ કોઇપણ પ્રકારના ટેન્ડર કે વર્ક ઓર્ડર વગર સીધું બારોબાર સોંપી દેવાયું હતું. આથી સતા પક્ષના લોકોએ સતાનો દૂરપયોગ કરી કયાં કારણોથી આ કામ કયાં અધિકારીઓની મીલીભગતથી સોંપ્યું છે તેની તપાસની કરી કસૂરવાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. કારણ કે જો વગર ટેન્ડરે કામ આપવાનું હોય તો ટેન્ડર બહાર શું કામ પાડયું અને પાછલા બારણે કોના ઇશારે ટેન્ડર મંજૂર કરાયું તે સવાલ પણ ઉઠાવ્યો છે.
આટલું જ નહીં જે પાર્ટીએ વગર ટેન્ડરે કામ કર્યું છે તે કામમાં પણ મનપા દ્વારા કોઇપણ પ્રકારની દેખરેખ કે તપાસ કરી નથી. કારણ કે, હર ઘર તિરંગાક કાર્યક્રમમાં જે લાડકા અને પીવીસીના સ્ટીક અને ઘ્વજ વાપરવામાં આવ્યા છે તેમાં આગલા વર્ષના મટીરીયલનો ઉપયોગ કરાયો છે. વળી ટેન્ડરમાં ચાર ફુટની લાકડીઓ હોવા છતાં ૩ ફુટનો ઉપયોગ કર્યો છે. આથી આ ગોબાચારીની વીજીલન્સ તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે. જો કોઇ પગલાં લેવામાં નહીં આવે તો ધરણાં અને આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.