દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ ચોમાસુ અડધુ વિતી જવા છતા હજુ સુધી મૌસમનો કુલ વરસાદ માત્ર ૬.૪૧ ટકા (સરેરાશ માંડ સવા બે ઇંચ)જેટલો જ થયો છે. ત્યારે મેઘરાજાના રૂષણાથી ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે જયારે જનજીવન પણ ચાતક નજરે મેઘરાજાની કૃપાને ઝંખી રહયુ છે.બીજી બાજે ખંભાળિયાના લાલપરડા ગામે પાણીના અભાવે મગફળીનો પાક સુકાતો હોવાથી ખેડૂતે વેદનાપુર્ણ સ્થિતિ વચ્ચે ઉભા પાક પર ટ્રેકટર ફેરવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના બે માસ પૂર્ણ થયા છતા હજુ સુધી મોસમનો કુલ ૬.૪૧ ટકા જ વરસાદ પડ્યો છે. સતત વીશ વર્ષથી દર વર્ષે નિયમિત અને ક્યારેક પાછળથી પણ વરસાદ સરભર કરતો હોવાથી પાણી તથા વરસાદને ધ્યાને લઈને પાકનું વાવેતર કરનારા મુશ્કેલીમાં મુકાયા છે.
ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામે રહેતા ડુવા મશરીભાઈ આહીર નામના ખેડૂતે બે અઢી માસ પહેલા ખેતરમાં મગફળી વાવી હતી જે પછી વરસાદ જ ના થતા તથા તેમના બોરનું પાણી ખલાસ થઈ જતા મગફળીના પાકને પાણી મળે તેવું ના હોય ગઈકાલે મગફળીના લીલાછમ ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવીને પાકને કાઢી નાખ્યો હતો. પાક લીલાછમને ફરજીયાત પાણીના અભાવે ટ્રેક્ટર ફેરવી કાઢવો પડ્યો હોય, ખેડૂત મશરીભાઈએ ભારે વેદના વ્યક્ત કરીને હવે બાકીના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવા તથા ઘાસચારાની વ્યવસ્થા સરકાર કરે તેવી પણ માંગણી કરી હતી.
મગફળીના પાક માટે જરૂરી સમયે પાણી ના મળતા અને જે ઘાસચારો ઢોરને થયો એમ માની કચવાતા હૈયે આ ખેડૂતે પોતાની મહેનત પણ જાતે જ પાણી ફેરવી દીધું હોય તેમ જાતે જ ટ્રેક્ટર ચલાવીને લીલાછમ પાક પાણીના અભાવે કરમાય જાય તે પહેલાં કાઢી લીધો કે ઢોરને ઘાસ થશે!
અત્રે ઉલ્લેખનીય છેકે, ખંભાળીયામાં ભૂતકાળમાં ૧૦૦-૧૦૦ ઇંચ સુધી વરસાદ પડતો હતો તેના બદલે હાલ ચાલુ વર્ષે હજુ સુધી માત્ર ત્રણ ઇંચ જ વરસાદ મોસમનો થયો છે.