BREAKING NEWS

જામનગરમાં ખાનગી ટ્રસ્ટની ગૌશાળાનો ખર્ચ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટમાંથી કર્યાનો ઘટસ્ફોટ..!

  • September 19, 2026 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ખાનગી ટ્રસ્ટની ગૌશાળાનો ખર્ચ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટમાંથી કર્યાનો ઘટસ્ફોટ..!

કલેકટર, પશુપાલન સહીત સંબધિત વિભાગને કરેલી ફરિયાદની તપાસમાં ચોંકાવનારી હકીકત ખૂલી 

ટ્રસ્ટની મિલકતની અંદર અનઅધિકૃત રીતે ગૌવંશ અને સરકારી જમીનમાં દબાણનો પણ ખુલાસો

જામનગરમાં ખાનગી ટ્રસ્ટની ગૌશાળાનો ખર્ચ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટમાંથી કર્યાનું ટ્રસ્ટના ટ્રસ્ટીએ કલેકટર, પશુપાલન સહીત સંબધિત વિભાગને કરેલી ફરિયાદની તપાસમાં ખૂલતા ચકચાર જાગી છે. આ તપાસ દરમ્યાન ટ્રસ્ટની મિલકતની અંદર અનઅધિકૃત રીતે ગૌવંશ અને સરકારી જમીનમાં દબાણનો પણ ખુલાસો થયાનું ફરિયાદ કરનાર ટ્રસ્ટીએ જણાવ્યું છે. 

જામનગરમાં કાર્યરત ઓશવાળ એજયુકશેન ટ્રસ્ટના ટ્રસ્ટી જીજ્ઞાબેન હરીયા દ્વારા ટ્રસ્ટની સંસ્થા લીલાવતી નેચર કયોરમાંથી ચાંપાબેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટની ખાનગી શ્રીમતી પાનીબાઇ ગૌશાળાની ગાયો નેચર કયોરની જમીનમાં રાખી તેનો ગૌશાળાનો ખર્ચ નેચર કયોરમાંથી કરવામાં આવ્યાની ફરિયાદ કલેકટર, શ્રીમતી મેનકા ગાંધી,એનિમલ વેલફેર બોર્ડ, એનિમલ ક્રૂએલટી તથા પશુપાલન વિભાગમાં કરવામાં આવી હતી. આથી પશુપાલન તથા સંબધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટની લીલાવતી નેચર કયોર મિલકતની અંદર ખાનગી ગૌશાળાની ગાયોને ગેરકાયદેસર રીતે રાખી સરકારી પડતર જમીન પર દબાણ કરવામાં આવ્યાનો ખુલાસો થયાનું ટ્રસ્ટી જીજ્ઞાબેન હરીયાએ જણાવ્યું છે. વધુમાં તેણીએ જણાવ્યું હતું કે ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના બંધારણમાં ગૌશાળાની જોગવાઈ જ નથી. ચાંપા બેરાજા મિત્ર મંડળ કે જે ખાનગી ટ્રસ્ટ હોય અને આ ટ્રસ્ટમાં શ્રીમતી પાનીબાઈ ગૌશાળા અને પાંજરાપોળ બનાવી, સરકારી સબસિડી ચાંપા બેરાજા ટ્રસ્ટમાં લઈ અને ગાયોને લીલાવતી નેચર ક્યોરમાં રાખી ગાયોનો નિભાવ તથા સ્ટાફ, વાહન સહીતનો તમામ ખર્ચ લીલાવતી નેચર ક્યોર સેન્ટરમાંથી કરવામાં આવતો હતો. આટલું જ નહીં દૂધ અને તેમાંથી બનાવેલું ઘી કે અન્ય પદાર્થોનું વેચાણ ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતું હતું.

ચેરમેન અને તેમનો પરિવારએ સમયે મુંબઈ હતા અને તેઓની ગેરહાજરીનો લાભ લઇ આ પ્રવૃતિ કરવામાં આવી હતી. સંસ્થાના ફાઉન્ડર દાતા અને ચેરમેન જંયતિલાલ હરિયા તથા ટ્રસ્ટી કંચનબેનને લીલાવતી નેચર કયોર સંસ્થામાં કોર્ટનો કોઇ ઓર્ડર ન હોવા છતાં પ્રવેશ કરતા  સિકયુરીટી દ્વારા અટકાવવામાં આવ્યા હતાં. ઉપરોકત બાબતે ફરિયાદ બાદ સરકારના સંબધિત વિભાગ દ્વારા તપાસ સહીતના તાકીદના પગલાં લઇ સહયોગ આપવામાં આવ્યાનું ટ્રસ્ટી જીજ્ઞાબેને જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application