જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગોને મજબૂત કરવા માટે મહત્વપુર્ણ કામગીરી
કાલાવડ અને લાલપુર તાલુકાના માર્ગ માળખાકીય સુવિધા સુધારવા કામગીરી હાથ ધરાઇ
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે વાહનવ્યવહાર વધુ સગવડભર્યો અને સુરક્ષિત બનાવવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), જામનગર દ્વારા માર્ગ સુધારણા તથા પુલ નિર્માણના કામોને વેગ આપવામાં આવ્યો છે. વિભાગ દ્વારા તાજેતરમાં કાલાવડ અને લાલપુર તાલુકામાં માર્ગ માળખાકીય સુવિધાઓ સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના મકાજી મેઘપર રોજીયા વિભાણીયા રોડ પર માઇનોર બ્રિજનું કામ પૂર્ણ કાલાવડ તાલુકામાં આવેલ આશરે ૫.૦૦ કિ.મી. લંબાઈ ધરાવતા મકાજી મેઘપર રોજીયાવિભાણીયા ગ્રામ્ય માર્ગ પર વર્ષો જૂનો કોઝવે અત્યંત જર્જરિત હાલતમાં હતો. ચોમાસા દરમિયાન ભારે વરસાદના સમયે આ કોઝવે પરથી પાણી ઓવરટોપ થવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતો હતો અને સ્થાનિક ગ્રામજનોને હાલાકી ભોગવવી પડતી હતી.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા સ્થળ સર્વે કરી જૂના કોઝવેના સ્થાને નવો માઇનોર બ્રિજ બનાવવા સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી. દરખાસ્ત મંજૂર કરી ૭.૦૦ મીટરના ૮ ગાળા ધરાવતા માઇનોર બ્રિજ માટે રૂ.૧૬૦.૦૦ લાખનો જોબ નંબર ફાળવવામાં આવ્યો હતો.
તમામ જરૂરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિભાગીય દેખરેખ હેઠળ આ બ્રિજ નિર્માણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. બ્રિજ કાર્યરત થવાથી હવે ચોમાસામાં પાણીના ભરાવા કે ઓવરટોપિંગની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે અને આસપાસના ગામોના વાહનચાલકો તથા ગ્રામજનો માટે સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થઈ છે.