દ્વારકા જિલ્લાના વિવિધ ૧૮૨.૫૦ કરોડના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ
સંભવતિ આગામી દિવસોમાં લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું થશે આગમન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ રૂપિયા ૧૮૨.૫૦ કરોડના વિકાસ કાર્યો તૈયાર થઈ ગયા હોય આગામી તા.૨૩.૦૮.૨૦૨૬ ને રવિવારના રોજ સંભવિત રીતે રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે આ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન લોકાર્પણ થવાનું હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે.
દ્વારકા નજીકના શિવરાજપુર બીચ ખાતે રૂ.૧૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યો તૈયાર થઈ ગયા છે. જેમાં બીચના વિકાસ તથા પર્યટકોની સગવડતાઓને ધ્યાનમાં રાખી અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેનું ટૂંકમાં લોકાર્પણ થનાર છે. આ ઉપરાંત યાત્રાધામ હર્ષદ (ગાંધવી) ખાતે પ્રથમ તબકકાના રૂ. ૭.૫ કરોડના વિકાસ કાર્યો તૈયાર થઈ ચૂક્યા હોય તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ભાણવડમાં ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે રૂપિયા પાંચ કરોડના વિકાસકાર્યો મંજૂર થયા બાદ જે રકમ વધીને ૨૫ કરોડના વિકાસકાર્યો થયા હોય ત્યાંના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ તમામ વિકાસ કાર્યોના લોકાર્પણ થયે પર્યટકો તેમજ તીર્થસ્થળોએ આવતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે.