ભાણવડના ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિરેથી દશામાની મૂર્તિ એકત્ર કરી દરિયામાં વિસર્જીત કરતી જીવદયા ટીમ ભાણવડના ઈન્દ્રેશ્વર ત્રિવેણી ધામ ખાતે એક અબોલ જીવ (બળદ)ની સેવા અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન સેવાભાવી યુવાનોનું ધ્યાન દશામાની મૂર્તિઓ તરફ ગયું હતું. આ વર્ષે અપૂરતા વરસાદના કારણે જળાશયોમાં પાણી ઓછું હોવાથી, વ્રત પૂર્ણ થયા બાદ પધરાવવામાં આવેલી માતાજીની પ્રતિમાઓ યોગ્ય ઊંડાઈએ વિસર્જિત થઈ શકી નહોતી અને કાંઠા પર એકત્રિત થઈ ગઈ હતી.
જે મૂર્તિની આપણે દિવસો સુધી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હોય, તેનું પૂરેપૂરું સન્માન જળવાઈ રહે તેવા શુભ આશયથી જીવદયા પ્રેમી યુવાનોની ટીમે તાત્કાલિક સેવા કાર્ય હાથ ધર્યું હતું. ટીમના સભ્યોએ ઈન્દ્રેશ્વર ત્રિવેણી ખાતેથી આ તમામ મૂર્તિઓને ખૂબ જ આદરપૂર્વક એકત્ર કરી હતી અને ત્યારબાદ હર્ષદ ખાતે દરિયાના પવિત્ર જળમાં પૂરા વિધિ-વિધાન સાથે સન્માનપૂર્વક પધરાવી હતી.
આ પ્રસંગે ટીમ દ્વારા તમામ ભક્તજનોને એક નમ્ર અપીલ કરવામાં આવી છે કે માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કર્યા બાદ તેનું વિસર્જન પણ સંપૂર્ણ સન્માનજનક રીતે થાય તે જોવું આપણી સૌની ફરજ છે. જો અનુકૂળ કે પૂરતી જળ વ્યવસ્થા ન હોય તો મૂર્તિ લાવવાને બદલે ફોટો કે ધાતુની પ્રતિમા રાખીને પૂજન-અર્ચન કરવું જોઈએ, જેથી ધાર્મિક મર્યાદા અને સન્માન જળવાઈ રહે.