જામનગર: સોલીડ વેસ્ટ શાખા દ્વારા સફાઇ કામદારોને અન્યાય, ફોજદારી કાર્યવાહીની માંગ
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદૂર સંઘ દ્વારા મેયર અને કમિશ્ર્નરને આવેદન પાઠવાયું
સેટઅપમાં ખાલી પડેલી જગ્યા તાકીદે ભરો, પ્રશ્રો નહીં ઉકેલાય તો આંદોલનની ચિમકી
જામનગર મહાપાલીકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા સફાઇ કામદારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોય જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદૂર સંઘે મેયર અને કમિશ્ર્નરને આવેદન પાઠવ્યું છે. જેમાં સેટઅપમાં ખાલી પડેલી જગ્યા તાકીદે ભરવા માંગણી પણ કરી છે. જો પ્રશ્ર્નો નહીં ઉકેલાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદૂર યુનિયનના જામનગરના અઘ્યક્ષ મહેશ બાબરીયા અને સફાઇ કામદારોએ મનપાના મેયર અને કમિશ્ર્નરને આજરોજ આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઇ કામની ૧૮૬૬ બીટ સામે કાયમી સફાઇ કામદારોનું મંજૂર થયેલું સેટઅપ ૧૩૩૪નું છે. આથી બીટ પ્રમાણે પૂરતા સફાઇ કામદારો ન હોય સફાઇ પૂરતા પ્રમાણમાં થતી નથી. સરકારી કાર્યક્રમો કે રાજકીય નેતાઓ આવે ત્યારે સફાઇ કામદારો પાસે અન્ય કામગીરી કરાવામાં આવે છે. એસએસઆઇઓ દ્વારા રોજીંદી કામગીરી અધૂરી મૂકી નવા ભળેલા વિસ્તારોમાં સફાઇ કામદારો પાસે કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં સફાઇ કામદારો પાસે પીજીવીસીએલના સબ સ્ટેશનની ફરતે લગાવેલી ફેન્સીંગની અંદર સફાઇ કામગીરી કરવામાં આવી હતી. ઘણા સમયથી સફાઇ કામદારોના સેટઅપમાં જગ્યા ખાલી પડી હોય તે અંગે અવેજી સફાઇ કામદારોના સીઆર રીપોર્ટ પણ ભરાઇ ગયા છે પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તમામ પ્રશ્રે નો૮ટીસ મળ્યે જે તે વોર્ડમાં અનુસૂચિત જાતિના સફાઇ કામદારો પાસેથી ગેરકાયદે અને અમાનવીય સફાઇ કામગીરી કરાવતા જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માંગણી કરી છે. આટલું જ નહીં જો ઉપરોકત પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.