સંસદમાં સનાતન ધર્મના અપમાનના મુદ્દે જામનગરના સંતો લાલઘૂમ: કલેકટરને આવેદન
સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના અપમાન સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે આજે જામનગર માં સનાતન સંત સમાજ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું. જામનગરમાં સનાતન સંત સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિ અને સરકાર નું ઉદ્દેશી ને લખવામાં આવેલ આવેદન માં જણાવાયું છે કે સંસદ પ્રરિસરમાં તાજેતરમાં ઘટેલી અત્યંત નિંદનીય અને સનાતન ધર્મનું અપમાન કરતી કાવતરાખોર ઘટના છે. તા. ૩૧ જુલાઈના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા એક આયોજિત ષડયંત્રના ભાગરૂપે જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેનાથી સમગ્ર દેશના સનાતન સંત સમાજમાં અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
આ જ આક્રોશના ભાગરૂપે આજે સમગ્ર દેશના તમામ શહેરોની સાથે જામનગરમાં પણ સંત સમાજ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજીને આ આવેદન પત્ર સુપ્રત કરવામાં આવી રહ્યું છે. ભગવા વેશ અને સંસ્કૃતિનું અપમાન કરવામાં આવ્યું છે. રાજકીય રોટલા શેકવા માટે સંતોનો વેશ ધારણ કરી, ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ-સંત સમાજ ની છબી ને ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આવેદન સમયે જામનગરના ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ચતુર્ભુજદાસજી મહારાજ, સંત હરિબાપુ (રાધે ક્રિષ્નાવાળા) મહંત દેવ પ્રસાદજી મહારાજ સહિતના સનાતની જોડાયા હતા.