BREAKING NEWS

‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે વિકાસની નવી દિશા તરફ ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક

  • July 14, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે વિકાસની નવી દિશા તરફ ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક 

૬૭મી વાર્ષિક સામાન્ય સભામાં વર્ષો બાદ સભાસદોને ડિવિડન્ડની જાહેરાત

ખેડૂતો માટે રૂ. ૧૦ લાખના અકસ્માત વીમા કવચ સહિત અનેક ઐતિહાસિક નિર્ણયો

સહકારી ક્ષેત્રમાં વિશ્વાસ, વિકાસ અને આધુનિકતાનું પ્રતીક બની રહેલી ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની ૬૭મી વાર્ષિક સામાન્ય સભા ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના હિત, સહકારથી સમૃદ્ધિ, આધુનિક બેંકિંગ અને ભાવિ વિકાસની દિશા કેન્દ્રસ્થાને રહી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, શેરહોલ્ડરો, થાપણદારો, ગ્રાહકો, સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, બેંકના નિવૃત્ત અને વર્તમાન અધિકારીઓ, કર્મચારીઓ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂ​​​​​​​આત બેંકના જનરલ મેનેજર તથા ઇન્ચાર્જ મુખ્ય કાર્યકારી અધિકારી (I/C C.E.O.)​​​​​​​ ડો. મૌનિલ હાથીએ સામાન્ય સભાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને કરી હતી. ત્યારબાદ વાર્ષિક હિસાબો, એજન્ડા અને અન્ય કામગીરી નિયમ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી.

ત્યારબાદ બેંકના ચેરમેન જીતુભાઈ લાલએ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે છેલ્લા ૬૭ વર્ષથી બેંક સહકાર, વિશ્વાસ અને સેવાભાવના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે અને આજે તે વિકાસના નવા શિખરો સર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે સભાસદોનો વિશ્વાસ, કર્મચારીઓની નિષ્ઠા અને સંચાલક મંડળની વિકાસલક્ષી વિચારસરણીના પરિણામે બેંક સતત મજબૂત બની રહી છે.

ચેરમેનએ જણાવ્યું હતું કે વર્ષો બાદ સભાસદોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે બેંકની મજબૂત નાણાકીય સ્થિતિનું પ્રતીક છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બેંકે રૂ. ૨૩.૯૩ કરોડથી વધુનો ગ્રોસ નફો તથા તમામ જોગવાઈઓ અને આવકવેરા બાદ રૂ. ૪.૫૧ કરોડથી વધુનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. બેંકનું કુલ બિઝનેસ રૂ. ૨,૧૫૪ કરોડને પાર પહોંચ્યું છે. કુલ થાપણો રૂ. ૧,૩૭૬.૨૯ કરોડ અને કુલ ધિરાણ રૂ. ૭૭૮.૬૫ કરોડથી વધુ રહ્યું છે, જેમાંથી આશરે ૯૭ ટકા ધિરાણ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રને આપવામાં આવ્યું છે. બેંકનું ગ્રોસ એનપીએ માત્ર ૩.૯૮ ટકા અને નેટ એનપીએ શૂન્ય ટકા રહેવું બેંકની મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતિબિંબ હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન ૨૯ હજારથી વધુ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેંકિંગ સેવાઓને ઘરઆંગણે પહોંચાડવા માટે ૪૦૫ બેંક મિત્રો અને ૪૦૫ માઇક્રો ATM કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ ગ્રામ પંચાયતોમાં બેંકિંગ ટચ પોઇન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને ૪૨,૧૪૧ ખેડૂત તથા પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે.

ખેડૂતોના કલ્યાણ માટે લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે સહકારી મંડળીઓ મારફતે ધિરાણ મેળવનારા સભાસદ ખેડૂતો માટેના અકસ્માત મૃત્યુ વીમા કવચને રૂ. પાંચ લાખમાંથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવ્યું છે. ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ખેડૂત ધિરાણના વ્યાજદરમાં ૨.૫૦થી ૩.૦૦ ટકા સુધીનો ઘટાડો કરીને હજારો ખેડૂત પરિવારોને સીધો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે બેંક આજે માત્ર પરંપરાગત બેંકિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ CBS, CTS, RTGS, NEFT, NACH, ATM,​​​​​​​ ડેબિટ કાર્ડ, મોબાઇલ બેંકિંગ, QR payment, Micro ATM, SMS Alert​​​​​​​ જેવી અદ્યતન ડિજિટલ સેવાઓ દ્વારા ગ્રામ્ય ગુજરાતમાં આધુનિક બેંકિંગનું મજબૂત નેટવર્ક ઉભું કરી રહી છે. જામજોધપુર ખાતે નવું અઝખ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે ભાણવડ અને ભાટિયા ખાતે નવા ATM ટૂંક સમયમાં કાર્યરત થશે. ઉપરાંત આગામી સમયમાં UPI, AEPS ​​​​અને અન્ય આધુનિક ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવાની યોજના પણ તેમણે જાહેર કરી હતી.ચેરમેનએ પોતાના સંબોધનમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ ના સંકલ્પને સહકારી ક્ષેત્ર માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકારી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઈ છે અને તેનો લાભ જિલ્લા સહકારી બેંકો સુધી પહોંચ્યો છે. તેમણે આ અવસરે રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને સહયોગ બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના કૃષિ, સહકાર અને સંબંધિત વિભાગોના મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તથા પૂર્વ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ જિલ્લા સહકારી બેંકોની માતૃસંસ્થા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણી આ બેંકને આપણાં સાંસદ પૂનમબેન માડમનો સહયોગ પણ સાંપડી રહ્યો છે તેમ જણાવેલ હતું. 

કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક આજે સહકારી ક્ષેત્રમાં આધુનિકતા, પારદર્શિતા અને લોકવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની છે. ખેડૂતો સુધી ડિજિટલ બેંકિંગ સેવાઓ પહોંચાડવા, આધુનિક હેડ ઓફિસના નિર્માણ, નવી ટેક્નોલોજીના સ્વીકાર અને ગ્રામ વિકાસ માટે બેંક દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો સરાહનીય હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ અને તેમની સમગ્ર ટીમને બેન્કની સેવાઓ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે બેન્કના UPI ​​​​​​નું  લોન્ચિંગ રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભા સાંસદ જિતેન્દ્રભાઈ કણઝારીયા, બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે બેંક દ્વારા રાજ્યસભાના નિયુક્ત માનનીય સાંસદ જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન બાદ પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકે ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને વિકાસનો જે માર્ગ અપનાવ્યો છે તે સમગ્ર સહકારી ક્ષેત્ર માટે પ્રેરણારૂપ છે. તેમણે બેંકના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારના સ્તરે શક્ય તમામ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

ત્યારબાદ બેંકના ડિરેક્ટર તથા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ડિરેક્ટર મુળુભાઈ બેરાએ પણ પોતાના સંબોધનમાં બેંકના વિકાસમુખી અભિગમ, ખેડૂતો માટે અમલમાં મુકાયેલી યોજનાઓ અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ જામનગર તથા દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત રહી બેંકની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. બેંકના વ્યવસાયમાં સતત વૃદ્ધિ થાય, ગ્રાહકોને શ્રેષ્ઠ અને ઝડપી સેવા મળી રહે તેમજ બેંક નવી સફળતાઓ હાંસલ કરે તે માટે નિષ્ઠા, પ્રમાણિકતા અને સમર્પણભાવથી કાર્ય કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું.

સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબો તથા વિવિધ એજન્ડાને સભાસદોએ બહુમતીથી મંજૂરી આપી હતી. કાર્યક્રમમાં બેંકના તમામ ડિરેક્ટરો, વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે હજારોની સંખ્યામાં ખેડૂત સભાસદો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક વાત સ્પષ્ટપણે સામે આવી હતી કે ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક હવે માત્ર નાણાકીય વ્યવહારો પૂરતી મર્યાદિત સંસ્થા રહી નથી, પરંતુ ખેડૂતોના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો, આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ અને ‘સહકારથી સમૃદ્ધિ’ ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરતી અગ્રણી સહકારી સંસ્થા તરીકે નવી ઓળખ સ્થાપિત કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application