જામનગરમાં સંવત્સરીના પર્વ સાથે જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભાવભેર પૂર્ણાહુતી થઇ હતી. આ પ્રસંગે જામનગરમાં ગઇકાલે બપોર બાદ દેરાવાસી જૈન સંઘ એટલે કે શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પરમ પૂજ્ય આચાર્ય મેઘદર્શનસૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી જયરત્નાશ્રીજી મ.સા.ની પાવન નિશ્રામાં યોજાયેલો તપસ્વીઓનો આ વરઘોડો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો. શોભાયાત્રા દરમ્યાન ધાર્મિક માહોલ વચ્ચે જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓએ ઠેર ઠેર તપસ્વીઓની અનુમોદના કરી તપસ્યાને બિરદાવી હતી. પર્યુષણ મહાપર્વ દરમિયાન તપસ્યા કરનાર તપસ્વીઓના સન્માન સાથે યોજાયેલા આ વરઘોડામાં જૈન સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જૈનજૈનેતરો ઉપસ્થિત રહ્યા હતા. પર્યુષણ પર્વમાં વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જયોતિવિનોદ ઉપાશ્રય હેઠળ જૈનાચાર્યોની નિશ્રામાં ૧ સિઘ્ધિ તપ, ૩૦ ઉપસાસ ૩, ૧૬ ઉપવાસ ૧૦, ૧૧-૧૨ ઉપવાસ ૯, ૭-૮-૯ ઉપવાસ ૯૦, ૪-૫-૬ ઉપવાસ ૬, ૧૦૫ ઉપવાસ ૩ અને ૨૮ ચોસઠ પહોરી પૌષધ તપશ્ર્ચર્યા થઇ હતી.