ધ્રોલ-વાગુદળ રોડ પર આવેલા દેવ ટાયર નામના કારખાનામાં કામ કરતી વખતે વીજશોક લાગવાથી એક આધેડનું કરુણ મોત નીપજ્યું છે. મૂળ લાલપુરના ધરાનગરના રહેવાસી અને ૫૫ વર્ષીય ચંદુભાઈ રામજીભાઈ સીંગરખીયા કારખાનાના બોઈલરમાં લાકડા નાખી રહ્યા હતા. એ સમયે અકસ્માતે તેમનો હાથ ઈલેક્ટ્રિક ફુકણી સાથે અડી જતાં તેમને વીજશોક લાગ્યો હતો.
ગંભીર હાલતમાં તેમને ત્વરિત સારવાર અર્થે ધ્રોલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગેની વધુ તપાસ સી.જે. જાડેજા ચલાવી રહ્યા છે.