જામનગર: સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રી જામનગર મોઢવણિક જ્ઞાતિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
15મી ઓગસ્ટ, 2026ના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શ્રી જામનગર મોઢવણિક જ્ઞાતિ દ્વારા ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જ્ઞાતિના હોદ્દેદારો, કમિટી મેમ્બર્સ, કો. ઓપ સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા.
ગૌરવ સમા તિરંગાને રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો તેમજ જ્ઞાતિજનો માટે રસપ્રદ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં ઉપસ્થિત તમામ બાળકોને તેમજ વિજેતા જ્ઞાતિજનોને જ્ઞાતિ તરફથી ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સુંદર સંચાલન રીન્કુભાઈ સોલંકીએ કર્યું હતું. આઝાદીના 80મા વર્ષે "આપણી દેશ પ્રત્યેની સાચી ફરજ" વિષય પર કુ. પ્રેક્ષા વિનોદકુમાર મહેતા દ્વારા સ્વરચિત અને અસરકારક કાવ્યપઠન કરવામાં આવ્યું હતું તેમજ કુ. કુંજ સમીરભાઈ મહેતાએ "રાષ્ટ્રની અખંડિતતા અને વિકાસ" વિષય પર અસરકારક વક્તવ્ય રજૂ કર્યું હતું.સંગીતમય માહોલ વચ્ચે રાજુભાઈ મહેતાએ દેશભક્તિ આધારિત કરાઓકે ગીત રજૂ કરી ઉપસ્થિત સૌમાં દેશભક્તિનો જુસ્સો જગાવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મનોજભાઈ અડાલજા (અડાલજા ઇન્વેસ્ટમેન્ટ) સહપરિવાર પધારી કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે શ્રી મોઢ યુવક ઉત્તેજક મંડળ ના પ્રમુખ ભાવેશભાઈ છાપીયા તથા તેમની કમિટી દ્વારા ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને વિનામૂલ્યે "તુલસીજીના રોપા"નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
અંતે સૌએ અલ્પાહારનો આનંદ માણ્યો અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ભૌમિકભાઈ છાપિયાએ જહેમત ઉઠાવનાર તમામ કમિટી મેમ્બર્સ, સભ્યો તથા સહયોગી જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.