↵દેવભૂમિ દ્વારકા: સંસદ ભવનમાં સનાતન ધર્મનું અપમાન થતાં દ્વારકા જિલ્લાના સંતોમાં આક્રોશ
સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર સનાતન સંત સમાજ દ્વારા સંસદ ભવનમાં બનેલી એક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતરૂપે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સંસદ ભવનના પ્રાંગણમાં પપ્પુ યાદવ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગે દ્વારા ભારતની સનાતન પરંપરા અને પૂજનીય સંતો-મહંતોનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. આ ઘટનાને કારણે સમગ્ર હિન્દુ સમાજ અને સંત સમાજમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.
સંત સમાજે આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે, પપ્પુ યાદવ દ્વારા પવિત્ર ભગવા વસ્ત્રો ધારણ કરીને જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી સમગ્ર ભારતીય સંત પરંપરા અને હિન્દુ ધર્મની ગરિમાને ભારે ઠેસ પહોંચી છે. આ ઉપરાંત, ભગવાન શ્રી રામ તથા અયોધ્યા સ્થિત રામ મંદિર સાથે જોડાયેલી કરોડ લોકોની અગાધ આસ્થા અને શ્રદ્ધાની ક્રૂર મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સનાતન સંસ્કૃતિમાં ભગવા વસ્ત્રો ત્યાગ, તપસ્યા અને સમર્પણનું પ્રતીક છે, અને તેનું આ પ્રકારે રાજકીય સ્વાર્થ કે વિરોધ માટે અનાદર કરવો તે અક્ષમ્ય અપરાધ સમાન છે.
આ ઘટનાના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સનાતની સંતો-મહંતો એકજૂટ થઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આવેદનપત્ર મારફતે આકરા શબ્દોમાં માંગ કરવામાં આવી છે કે સનાતન ધર્મ અને રામ મંદિરની આસ્થા પર પ્રહાર કરનારા તથા આ કૃત્યમાં સંકળાયેલા તમામ સાંસદો સામે તાત્કાલિક ધોરણે યોગ્ય અને કડકમાં કડક કાનૂની તેમજ બંધારણીય કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જ સનાતન ધર્મનું અપમાન કરનાર આ તમામ સાંસદોના સાંસદપદને પણ તાત્કાલિક અસરથી રદ કરવા માટેની જરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.