દ્વારકામાં વિરામ બાદ ફરી વરસાદ, મેઘાવી માહોલથી ભક્તોમાં આનંદ
દ્વારકામાં વિરામ બાદ ફરી વરસાદ, મેઘાવી માહોલથી ભક્તોમાં આનંદ
September 17, 2026 12:49 PM
દ્વારકામાં વિરામ બાદ ફરી વરસાદ, મેઘાવી માહોલથી ભક્તોમાં આનંદ
લો-પ્રેશર રીટર્ન થતાં વરસાદની પુન: આશા જાગી, સવારે ૧૦ કલાક બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો, રોડ રસ્તા ભીના થયા
યાત્રાધામ દ્વારકામાં એક દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાએ પધરામણી કરતાં સમગ્ર શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. છેલ્લા બે દિવસથી ધાબડિયા વાતાવરણ વચ્ચે આજે સવારે દસ વાગ્યાના અરસાથી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનથી સ્થાનિકોમાં તેમજ દ્વારકાધીશના દર્શને આવેલા શ્રદ્ધાળુઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
દ્વારકામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા હતા. દરમિયાન વરસાદ શરૂ થતાં અનેક ભક્તો વરસાદમાં ભીંજાતા-ભીંજાતા દ્વારકાધીશ મંદિર તરફ જતા નજરે પડ્યા હતા. ભક્તો માટે વરસાદ જાણે ભગવાન દ્વારકાધીશની કૃપા સમાન બન્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તિભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. છત્રી અને રેઈનકોટ સાથે ભક્તો મંદિર પરિસર તરફ આગળ વધતા રહ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર પંથકમાં સારો વરસાદ થાય અને ખેતી તથા જનજીવનને મેઘરાજાની મહેર પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પણ ભક્તોએ દ્વારકાધીશ સમક્ષ કરી હતી. વરસાદના કારણે દ્વારકાની ગલીઓ અને મંદિર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલનું આહલાદક દૃશ્ય જોવા મળ્યું હતું. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક સાથે લોકમન પણ ખુશખુશાલ બન્યું હતું સાથે સાથે લોકો વરસાદની મોજ માણવા પરિવાર સાથે માર્ગો પર નીકળી પડ્યા હતા.