જામનગર: ધ્રોલ ખાતે પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને 'સમરસ વિદ્યા સેતુ' કાર્યક્રમ યોજાયો
શાળા છોડી ગયેલા બાળકો શાળામાં પુનઃપ્રવેશ મેળવે તે માટે સૌનો સહિયારો પ્રયાસ જરૂરી-મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા
મંત્રી દ્વારા શાળામાં પુનઃપ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકારાયા
બાળકોને પુનઃ શાળામાં જોડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ તેમજ સંસ્થાઓનું પ્રભારી મંત્રીના હસ્તે સન્માન કરાયું
ધ્રોલ શહેરની જી.એમ. પટેલ કન્યા શાળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને 'સમરસ વિદ્યા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણથી વંચિત રહેલા તેમજ વિપરીત પરિસ્થિતિઓના કારણે શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉત્દાત ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, શિક્ષકો, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. ભણતર એ સફળતાની સાચી ચાવી છે અને તે બાબતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર પોતાના બજેટનો મોટો હિસ્સો શિક્ષણ ક્ષેત્રે ફાળવે છે. ગત રૂ.૩ લાખ ૮ હજાર કરોડના કુલ બજેટમાંથી રૂ.૬૩,૦૦૦ કરોડથી વધુની માતબર રકમ માત્ર શિક્ષણ પાછળ ખર્ચવામાં આવી છે. સરકાર દ્વારા શાળાઓમાં શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ, પૌષ્ટિક ભોજન, પુસ્તકો, ઉત્તમ શિક્ષકો, સ્કોલરશિપ અને વિનામૂલ્યે શિક્ષણ જેવી અનેકવિધ યોજનાઓ થકી વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે મંત્રીએ ખૂબ જ સરળ શૈલીમાં ભણતરના ફાયદાઓ વિશે પોતાના જાતઅનુભવો બાળકો સમક્ષ રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા દુરંદેશી અભિયાનોના પરિણામે શાળાઓમાં નોંધણી દરમાં અભૂતપૂર્વ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા હવે વર્ષ ૨૦૩૦ સુધીમાં ડ્રોપઆઉટ દરને શૂન્ય સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે મંત્રીએ તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને શિક્ષકોને આહ્વાન કર્યું હતું કે શાળા છોડી ગયેલા તમામ બાળકો સત્વરે શાળામાં પુનઃપ્રવેશ મેળવે તે માટે સૌ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવે. શિક્ષકો પોતે જે ગામમાં ફરજ બજાવે છે તે ગામમાં એકપણ બાળક ભણતરથી વંચિત ન રહે તે જોવાની ખાસ ટકોર પણ તેમણે કરી હતી.૨૦૪૭નું 'વિકસિત ભારત' બને ત્યારે સૌ શિક્ષણ થકી ઉન્નતિના શિખરો સર કરે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળા છોડી ગયેલા બાળકોને શોધીને પુનઃ શાળામાં જોડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષણ વિભાગના કર્મયોગીઓ, શિક્ષકો તેમજ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સેવા આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ શાળામાં પુનઃપ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકારાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઇ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, સંસ્થાના ટ્રસ્ટી ઘોડાસરા, શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ચંદ્રકાન્ત ખાખરીયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ચેરમેન રસિકભાઈ ભંડેરી, પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, સ્થાનિક જનપ્રતિનિધિઓ, તાલુકા અને જિલ્લા કક્ષાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.