અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. રાજ્યમાં અલગ-અલગ બે ઘટનાઓમાં અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે સેનાના પાંચ જવાનો લાપતા હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, બંને ઘટનાઓ શુક્રવાર સાંજે બની હતી.
અધિકારીઓએ શનિવારે, 15 ઓગસ્ટે જણાવ્યું હતું કે દિબાંગ વેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં આર્મીના બે શેલ્ટર વહી ગયા હતા, જેના કારણે સાત જવાનો પાણીમાં તણાયા હતા. તેમાંથી બે જવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે પાંચ હજુ લાપતા છે.
અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં રસ્તાના નિર્માણ સ્થળે ભારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન બાદ મોટી માત્રામાં કાટમાળ નીચે કેટલાક લોકો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે.
મૃતકોની ઓળખ ટાડુ બાકી, તાજી રાય, માર્કોશ બસુમતારી અને બાબુલ અલી તરીકે કરવામાં આવી છે. જિલ્લા આપદા વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું કે બાબુલ અલીનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય લોકોને શોધવા માટે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
નાચો પોલીસ સ્ટેશનના જવાનોને શોધ અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત, દાપોરિજોથી ફાયર અને ઇમરજન્સી સર્વિસની ટીમોને પણ બોલાવવામાં આવી રહી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ પણ બચાવ અભિયાનમાં જોડાવાની છે.