દ્વારકા: નાગેશ્ર્વર મંદિર અને હોટલ અંગે ખંડણી માંગવાના કેસમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ્દ
પવિત્ર દ્વારકા નગરીમાં ’પત્રકારત્વ’ની આડમાં ચાલતા ખંડણીખોરીનો કારોબાર કરતા આરોપી હસીત જાખરીયાને વધુ એક ઝટકો
દ્વારકા જેવા વિશ્વ વિખ્યાત અને પવિત્ર યાત્રાધામમાં પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરી, નિર્દોષ વેપારીઓ અને ધાર્મિક સંસ્થાઓને નિશાન બનાવી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતા પત્રકાર હર્ષિત (હસીત) દામોદરભાઈ જાખરીયાની મુશ્કેલીઓમાં વધુ એક મોટો વધારો થયો છે. અગાઉ લોઅર કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, હવે નામદાર એડિશનલ સેસન્સ કોર્ટે દ્વારકા એ પણ આરોપીની રેગ્યુલર જામીન અરજી સખત શબ્દોમાં ફગાવી દીધી છે. ન્યાયતંત્રના આ બેક-ટુ-બેક કડક નિર્ણયોથી આ ગુનેગારને જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.
લોઅર કોર્ટની જેમ જ એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારકાએ પણ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને કોઈ જ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. અદાલતે ફલિત કર્યું છે કે પત્રકારત્વ જેવા લોકશાહીના ચોથા સ્તંભની આડમાં નિર્દોષ વેપારીઓને ડરાવી-ધમકાવીને નાણાં પડાવવા એ અત્યંત ગંભીર અને અક્ષમ્ય અપરાધ છે.
દ્વારકા પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી સમગ્ર પંથકના વેપારી વર્ગ અને સાચા પત્રકાર આલમમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે. અદાલતના આ કડક ચુકાદાઓ ભવિષ્ય માટે એક ઉત્તમ દાખલો બેસાડે છે કે, કોઈ પણ હોદાઓ કે ઓળખની આડમાં કાયદાથી ઉપરવટ થઈને ચાલતા અન્યાયી અને ગુનાહિત કાર્યોને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. આવા તત્વો જેલના સળિયા પાછળ જતા હોવાથી સમાજના અન્ય અસામાજિક તત્વો માટે પણ આ એક સ્પષ્ટ અને કડક ચેતવણી છે કેઅંતે તો સત્ય અને કાયદાનો જ વિજય થાય છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે અમિત વ્યાસ રોકાયા હતા.